________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ઉષ્મા પ્રગટ થતા જ નિઃશેષ બની જાય છે. જડતાનો ક્ષય થઈ જાય છે. ચેતના અને આનન્દનો એક નવો અનુભવ થઈ જાય છે. શબ્દ અને ભાષા મૌન થઈ જાય છે ત્યારે આચરણની વીણા મધુર બની જાય છે.
તપનું આજ જીવંત અને જાગૃત શાશ્વત સ્વરૂપ છે. જે સર્વસ્વ અને સર્વકાલિન છે. બધી જ સાધના છે. તપથી તપીને કર્મ એવી રીતે મૂળમાંથી ક્ષય પામે કે પુનઃ સંજોગ થવા ન પામે.
વિષયો વિષ કરતાં વધુ ખતરનાક છે. કેમ કે વિષ તો એક જન્મનો નાશ કરે છે જયારે અણભોગવેલા વિષયો મનના ચિંતનમાત્રથી ભવોભવ પડે છે. વિષાયોથી સાવધાન બની વિકારવાસનાને કાબૂમાં લેવા અને મોહનીયના મૂળ રાગ-દ્વેષને ઉખેડવા માટે તપધર્મનું સેવન અતિ જરૂરી છે. ચારિત્રવાન આત્માનું અલંકાર તપ છે. અલંકાર વગરના શરીરની કંઈ શોભા નથી તેમ તપરહિત જીવનની શોભા નથી. અનાદિની આહારસંજ્ઞા દ્વારા “ખાઉં ખાઉં”ના અભ્યાસ સાથે તપનો નવો અભ્યાસ પાડવાનો છે. તપ કરનારને પ્રારંભમાં કષ્ટ મુશ્કેલીઓ નડશે. પણ “કરેંગે યા મરેંગે” જેવા મક્કમ મને પ્રણિધાન પૂર્વક વિવેક પરસ્પર તપને જીવનમાં ખીલવવામાં આવે તો આગળ જતાં તપ સરળ અને સહજ બની જાય છે. આહારસંજ્ઞા સામે ઝઝૂમવાનું શસ્ત્ર તપ છે. એના સતત સેવનથી ખાવાની લત અને વિવિધ રસોની ઉજાણી બંધ કરવાની છે. ઇચ્છાઓનું મારણ કરવાનું છે. એ લક્ષ્ય તપસ્વીએ ભૂલવા જેવું નથી. ઈચ્છાનિરોધરૂપ તપ સિદ્ધ કરવા માટે ઘણી સહનશીલતા કેળવવી પડે તેમ છે. ઇચ્છાઓનું જોર ચેતનને પજવે છે અને એના જોરે ભૂલો પડેલો શ્રાવક અભક્ષ્યાદિની નિર્દોષતાને વિસરી જાય છે. પરિણામે ચિત્તશુદ્ધિ ગુમાવવાનું બને છે.
તપધર્મના અભ્યાસથી રસના ઉપર એવું નિયંત્રણ આવી જાય કે ગમે તે અવસરે કથ્ય કે રુક્ષદ્રવ્ય મળે તો પણ ચાલે “અમુક વિના ન ચાલે” આ વાત ભૂંસાઈ જાય તો આહારસંજ્ઞા હાંસ જરૂર પામે છે જે મળે તેમાં સંતોષ રહે છે. તપના પ્રભાવે શું અનુભવ થાય?
(૧) વારંવાર ખાવાની ઇચ્છા ઓછી થાય. (૨) ખાન-પાન પ્રત્યે ઉદાસીનતા આવે. (૩) સારી વસ્તુ બીજાની ભક્તિમાં આપી દેવાનું મન થાય. (૪) અવસરે ભૂખ વેઠી શકે છે. (૫) વિચારો સુંદર બને. (૬) કષાયોની મંદતા અને ક્ષય થાય. (૭) આત્મ તેજ ખીલતું આવે. (૮) વિઘ્નો અંતરાય દૂર થઈ જાય. (૯) ન ધારેલી પ્રભાવના થાય. (૧૦) અણાહારી સ્વભાવનો અનુભવ થાય.
તપ કરતાં આપણા કષાયો શાંત થતા આવે છે. એ ખાસ માર્ક કરતા રહેવાનું છે. સ્વોત્કર્ષ ભૂલી જૈનશાસનનું ગૌરવ કેટલું વધે છે તે જાણી પ્રમોદશીલ બનવાનું છે. તપના અભ્યાસથી ઇન્દ્રિયોને અને મનને કબજામાં લેવાનું છે. મનને વશ કરીને ભાવવિશુદ્ધિના બળે વિષય-કષાયો સામે પૂર્ણ જય મેળવવાનો છે. ઘાતકર્મના નાશ માટે તપ અમોઘ સાધન છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન-કેવળદર્શન ક્ષાયિકભાવના ગુણો ન પ્રગટે ત્યાં સુધી તપથી પાછા ફરવાનું નથી. અર્થાત્ ઉત્તરોત્તર તપમાં આગળ વધવાનું છે.