________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
જેને બાહ્ય તપ નથી એ આહારસંજ્ઞાના અશુભભાવ શી રીતે રોકી શકે? તેમ જ તપ આરાધનામાં જિનાજ્ઞા પાલનના શુભ ભાવ શી રીતે લાવી શકે? કેમ કે જિનાજ્ઞા એમ નથી કહેતી કે “ભલે તમે મેવા મિઠાઈ ખાવો, પરંતુ અંતરમાં તમારા ભાવ શુદ્ધ રાખો, એટલે તમારો મોક્ષ થઈ જશે.” જિનાજ્ઞા જો આમ કહેતી હોય તો તો ખુદ જિનેશ્વર ભગવાનને દીક્ષા લઈને શું ભાવ શુદ્ધ રાખવાનું નહોતું આવડતું તે એમણે ઉપવાસો વગેરે તપસ્યા આદરી ? શું ગાદીએ બેસીને રહેવાનું ન કરતાં વર્ષોના વર્ષો સુધી કાઉસગ્ગના ભારે કાયકષ્ટ ઉપાડવાનું શા માટે કર્યું? શું એમને બહારથી આરંભ સમારંભ ને વિષયસંગ ચાલુ રાખી અંદરથી દયાભાવ, અહિંસાભાવ, અલિપ્તભાવ રાખતાં નહોતા આવડતાં તે ઘરસંસાર ને કુટુંબ પરિવાર છોડી નીકળી ગયા? ભગવાને જોરદાર, કષ્ટમય બાહ્ય સાધનાઓ શા માટે ઉપાડી ? એનાથી એ જ મોટો લાભ કે અશુભ ભાવોની અટકાયત અને શુભ ભાવોની જાગૃતિ માટે બાહ્યતાની ક્યારેય પણ ઉપેક્ષા ન કરાય. માટે જ તપ આરાધના અશુભ ભાવ નિષેધ અને શુભ ભાવ જાગૃતિ રૂપ ફળ પેદા કરે જ છે.
તપના રસવાળાને તપ વિનાના દિવસો બેકાર લાગે છે. નકામા જતા લાગે છે માટે જ તો એને પારણાના દિવસમાં ઉલ્લાસ નહિ જેવો તપના દિવસે હોય, આમ પણ જોઈએ તો જેનેજેમાં રસ હોય અને એમાં જ આનંદ આવે છે. દેવામાં ઉલ્લાસ હોય તો સમજવાનું કે એને દાનમાં રસ ને બદલે જો ભેગું કરવામાં રસ આવે તો સમજવાનું કે એને ધનમાં રસ છે. જેને સ્વાદમાં રસ નથી તો એને જરૂર તપમાં રસ છે, એ સમજવું પડે છે. જે ન્યાય, નીતિ પૂર્વક જીવન જીવે છે તો ખ્યાલ આવી જાય છે કે એને સદાચારમાં જ રસ છે, દુરાચારમાં નથી.
સારા કાર્યોમાં જેને રસ છે. એના માટે આ કર્મનિર્જરાનું કારણ બને છે અને અથાગ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે.
પ્રમાદના આલંબનો તજીને તપ અનુષ્ઠાનોમાં રમણતા થઈ શકે છે. પ્રમાદના આલંબનો આ પ્રમાણે છે. (૧) નિદ્રા (નિંદા) (૨) વિકથા (૩) કદાગ્રહ (૪) મનની મોકળાશ વગેરે પ્રમાદના આલંબનો છે. અહર્નિશ પ્રતિસમય આળસને ખંખેરી નાખીને સંયમમાં અનિર્વિષ્ણુ બની. અનન્ય એવી પરમ શ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્ય માર્ગમાં રહી કોઈપણ પ્રકારના નિયાણા વગર મનોબળ કે આત્મવીર્યને ગોપવ્યા સિવાય પુરૂષાર્થી બની અગ્લાનપણે સુનિશ્ચિત અને એકાગ્રચિતે તપની સાધનામાં વારંવાર રક્ત બનવું જોઈએ.
આપણને તપની દરેક ક્રિયામાં રસ હોવો જોઈએ. એ ક્રિયામાં કંટાળો કેમ આવે? સંસારના ક્ષેત્રમાં સહુ પોતપોતાના કાર્યમાં રસપૂર્વક કરનારા હોય છે. શેઠનું કાર્ય નોકર કંટાળા વગર કરે છે. વેપારીઓ લાભ દેખાય ત્યાં કંટાળ્યા વિના દોડાદોડ કરે છે. પ્રમાદ અને એશઆરામની વાતમાં કંટાળો આવતો નથી. ત્યાં જેને લહેર છે તેને તપની ક્રિયામાં કંટાળો આવે છે.