________________
[૧૨] નિર્દોષ ગ્રામ્યજીવત
મા અંબેતા લાલ, ‘અંબાલાલ'
પ્રશ્નકર્તા : દાદા, તમારું નામ કેવી રીતે પડ્યું ?
દાદાશ્રી : મારા બા (ઝવેરબા)એ મારે માટે (જન્મ પહેલાં) આઠેક વર્ષ તો ઘી ન ખાવાની બાધા લીધેલી અને અંબામાની ભક્તિ નિરંતર કરતા, તે ઉપરથી મારું નામ ‘અંબાલાલ’ પાડેલું.
ગલગોટા જેવું શરીર તેથી કહેતા ‘ગલો’
પ્રશ્નકર્તા : દાદાને ગલાકાકા કેમ કહેતા’તા ?
દાદાશ્રી : એ તો નામ જ નાનપણમાં ગલાભાઈ. ગલુનું લોકોએ ગલો કર્યો, પછી ગલાકાકા કર્યા. એ નામથી ઓળખાઈ ગયા. ખડકીમાં ‘ગલાકાકા આવ્યા' તેમ કહેતા.
પ્રશ્નકર્તા : ગલો નામ પડ્યું ત્યારે કેટલી ઉંમર હશે તમારી દાદા ?
દાદાશ્રી : દસ વરસનો.
પ્રશ્નકર્તા : ગલો એટલે શું, દાદા ?
દાદાશ્રી : એ ગમ્મતનું, આનંદનું નામ. ગલૂડિયા નથી કહેતા નાના હોય તેને ?