________________
૩૫૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
સરવૈયે વેપાર છે ખોટતો એટલે એક-બે ફેરા નાનપણમાં રિસાઈ જોયેલું, પણ એમાં ખોટ ગયેલી. એટલે ત્યારથી મેં રિસાવાનું છોડી દીધેલું.
મેં સરવૈયું કાઢી જોયું કે રિસાવામાં તદન ખોટ છે, એ વેપાર જ તદન ખોટનો છે. એટલે પછી ક્યારેય પણ રિસાવું નહીં, એવું નક્કી જ કરેલું. કોઈ આપણને ગમે તે કરે તોય રિસાવું નહીં. કારણ કે એ બહુ ખોટવાળી વસ્તુ છે. બહુ મોટું નુકસાન છે આ તો.
હવે છે તે તમે ગાળો દો તોય હું તમને વિનયથી બોલાવું. તમે ગાળો દો અને હું વિનયથી બોલાવું, આપણા બેનો ધર્મ આવો હોય. કારણ હું જાણું કે તમારામાં નબળાઈ હોય જ અને જો મારામાં નબળાઈ હોય તો પછી જ્ઞાની શેનો ? ગાળો સામે હું ગાળો દઉ અગર રિસાઉ તો જ્ઞાની શેનો ? રિસાવાય નહીં, એક્સેપ્ટ કરવું જોઈએ.