________________
૨૬૩
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
પાવરફુલ બુદ્ધિથી પાડે શાસ્ત્રોની સમજણ દાદાશ્રી : અમારા ભાભી બહુ પાવરફુલ ! આમ બ્રેઈન બહુ ભારે હતું. એટલે આમ વાતચીત કરે ને, તે કેવી સુંદર ! આ બુદ્ધિ બધી વધેલી ને ! આપણી જોડે વાતચીત કરે ને, તે આપણી ભૂલચૂક ખોળી કાઢે. બુદ્ધિ એટલી બધી સરસ ! પુરુષોને પકડે, વકીલ જેવી બુદ્ધિ.
પ્રશ્નકર્તા પણ ત્યાં ક્રમિકમાં તો બુદ્ધિની જ વધારે જરૂર છે ને?
દાદાશ્રી : હા, એમની બુદ્ધિ જબરજસ્ત. હમણાં પચાસ-સો બૈરાઓ બેઠા હોય, તો તેઓ ઉપદેશ આપવા માંડે, તે સરસ ઉપદેશ આપે અને શાસ્ત્રો બધા સમજાવી શકે. કારણ કે એમને પહેલેથી શાસ્ત્રો ને બધું આવડે. પહેલેથી જ મગજ સારું ચાલે. અત્યારે ત્યાં અમારું નવું ઘર બાંધ્યું છે ને, ત્યાં પાંચ-પચાસ બૈરાં ભેગા બેસીને એ પોતે સત્સંગ કરે, બધાને સમજણ પાડે. સમજણ બધી બહુ, તે શાસ્ત્રો ને શાસ્ત્રો સમજણ પાડી દે. તે એ બધા પચાસ બૈરાંઓ એમની પાછળ ફરતા હોય.
ત્યારે કંઈ જેવી તેવી વાત છે, સત્સંગ સમજ પાડવો તે ? મને કહે છે, “બધા મારે ત્યાં ભેગા થઈને આખી રાત ભક્તિ કરી.” મેં કહ્યું, સારું, કરો.”
પ્રશ્નકર્તા : રોજ અમારે ત્યાંથીય જાય છે બધા.
દાદાશ્રી : હા, બધા જાય છે. ઊલટું સારું થઈ ગયું. આ તો અમારું ધનભાગ્ય કહેવાય ! મને આનંદ થાય ને ! એમની કેટલીક વાત લોકોને સમજણ પડે તો સારું ને ! ખરી બઈ, બહુ સત્સંગી ! આખી જિંદગી ભક્તિ કરી, “મહારાજ, મહારાજ' કહે.
એ ધર્મ જ એમનું રક્ષણ કર્યું અમારા ભાભીએ સ્વામીનારાયણ ધર્મ સારો પકડી રાખ્યો છે. વિધવા સ્ત્રી તેને માટે માર્ગ સારામાં સારો છે. કારણ કે આ ત્રીસ વર્ષ રાંડેલા, પણ જોને બિલકુલ ચારિત્ર ચોખ્યું. એટલે હું કહું ને કે આ ધર્મ સારો છે. એ ધર્મ જ એમનું રક્ષણ કર્યું.