Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૬
પંચસંગ્રહ-૧
આકાશપ્રદેશોમાંથી સમયે સમયે એકનો અપહાર કરતાં જેટલી ઉત્સર્પિણી અવસર્પિણી થાય તેટલો છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! સૂક્ષ્મપણે ઉત્પન્ન થતા સૂક્ષ્મનો કાયસ્થિતિકાળ કેટલો હોય? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોય છે, અને ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ કાળ હોય છે. પર્યાપ્ત-અપર્યાપ્ત વિશેષણયુક્ત પૃથ્વીકાયાદિની સ્વકાયસ્થિતિ પહેલાં ૪૯મી ગાથામાં કહી છે, એટલે અહીં સામાન્યથી જ લેવાની છે.
તથા સૂક્ષ્મ બાદર પર્યાપ્ત કે અપર્યાપ્ત એ કોઈપણ વિશેષણ વિનાના સાધારણની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અઢી પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.
કહ્યું છે કે હે પ્રભો ! કોઈ પણ જીવ વારંવાર નિગોદમાં ઉત્પન્ન થાય તો તેની કાયસ્થિતિ કેટલી ! હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કાળ આશ્રયી અનંત. ઉત્સપ્પિણી અવસપ્પિણી પ્રમાણ અનંતકાળ, અને ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્તન કાળ છે.”
આ નિગોદની જે કાયસ્થિતિ કહી તે સાંવ્યવહારિક જીવો આશ્રયી કહી છે. કારણ કે વારંવાર નિગોદપણે ઉત્પન્ન થતા અસાંવ્યવહારિક જીવોની કાયસ્થિતિ તો અનાદિની છે.
વિશેષણવતી ગ્રંથમાં કહ્યું છે કે –“એવા અનંત જીવો છે કે જેઓએ ત્રસાદિ પરિણામ પ્રાપ્ત કર્યો નથી, અનંતાનંત તે જીવો નિગોદાવસ્થામાં જ રહે છે.
જ્યારે સામાન્યથી સૂક્ષ્મ નિગોદ આશ્રયી કાયસ્થિતિનો વિચાર કરીએ ત્યારે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાળ છે. જ્યારે સામાન્યપણે બાદર નિગોદ આશ્રયી વિચારીએ ત્યારે સિત્તેર કોડાકોડી સાગરોપમ કાયસ્થિતિ છે. જ્યારે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ આશ્રયી અથવા અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ આશ્રયી એમ ભિન્નભિન્ન વિચારીએ ત્યારે જઘન્યથી પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાયસ્થિતિ છે. એ પ્રમાણે બાદર નિગોદ માટે પણ સમજવું.
તથા વનસ્પતિ આશ્રયી સામાન્યથી વિચાર કરીએ તો તેની અસંખ્યાત પુદ્ગલપરાવર્તન પ્રમાણ કાયસ્થિતિ છે. એ પહેલાં કહ્યું છે.
અહીં ટીકાકાર મહારાજ લખે છે કે–મૂળ ટીકામાં અને અન્ય ગ્રંથોમાં આગમ વિરોધવાળી બીજી બીજી રીતે કાયસ્થિતિ જણાય છે, પરંતુ તેની ઉપેક્ષા કરીને પન્નવણા સૂત્રને અનુસરી ગાથાની વ્યાખ્યા કરી છે. અને એ જ હેતુથી ગ્રંથગૌરવનો અનાદર કરીને દરેક સ્થળે તે સૂત્રનો પાઠ બતાવ્યો છે. ૫૧
આ પ્રમાણે કાયસ્થિતિ કાળ કહ્યો. પહેલા ગુણસ્થાનક આશ્રયી જે કાલ કહ્યો છે, તે એક જીવ આશ્રયી કહ્યો છે, હવે અનેક જીવો આશ્રયી કહે છે–
सासण मीसाओ हवंति सन्तया पलियसंखइगकाला । उवसामग उवसंता समयाओ अंतरमुहत्तं ॥५२॥