Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૬
પંચસંગ્રહ-૧
પરભવના આયુનો બંધ ઘટી શકતો નથી પરંતુ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ આદિ શેષ રહે ત્યારે જ બાંધે એ ઘટી શકે છે. આ પ્રમાણે જ્યારે છે ત્યારે પોતાના આયુનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુનો બંધ, અને પૂર્વ કોટિનો ત્રીજો ભાગ અબાધા એ જે કહ્યું છે તે સઘળું અસંગત છે. ૩૯ હવે ઉત્તર કહે છે
पुव्वाकोडी जेसिं आऊ अहिकिच्च ते इमं भणियं । . भणियंपि नियअबाहं आउं बंधंति अमुयंता ॥४०॥ पूर्वकोटी येषामायुरधिकृत्य तानिदं भणितम् ।
भणितमपि निजाबाधामायुः बध्नन्ति अमुञ्चतः ॥४०॥ અર્થ–જેઓનું પૂર્વકોડી વરસનું આયુ છે તેઓને આશ્રયી બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એમ કહ્યું છે. તેમજ પૂર્વકોટિના ત્રીજા ભાગરૂપ પોતાની અબાધાને નહિ છોડતા એટલે પૂર્વકોટીનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એ જે કહ્યું છે તે પણ પૂર્વકોટી વરસના આયુવાળા જીવો આશ્રયી કહ્યું છે.
ટીકાનું–જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનું પૂર્વકોટિ પ્રમાણ આયુ હોય અને પરભવનું આયુ બાંધે તેઓ આશ્રયીને જ પોતાના આયુના બે ભાગ જાય અને ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધે એમ કહ્યું છે.
તાત્પર્ય એ કે પોતાના આયુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુનો બંધ થાય એમ જે કહ્યું છે તે પૂર્વકોટિ વરસના આયુવાળા જીવો આશ્રયી કહ્યું છે. તેથી વધારે જેઓનું આયુ હોય તેઓ આશ્રયી આ નિયમ નથી. તેઓ તો છ માસ શેષ આયુ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે.
તથા પૂર્વ કોટિના ત્રીજા ભાગરૂપ ઉત્કૃષ્ટ અબાધા પણ પૂર્વકોટિ વંરસના આયુવાળાને જ ઘટે છે, કારણ કે તેઓ પોતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધી શકે છે.
પરભવાયુનો ઉત્કૃષ્ટ બંધ અને ઉત્કૃષ્ટ અબાધા એ ભંગ પણ પૂર્વકોટિ વરસના આયુવાળા બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુ બાંધે અને તે પણ ઉત્કૃષ્ટ
૧. આયુમાં એવી પરિભાષા છે કે પૂર્વકોટિ વરસના આયુવાળા સંખ્યાત વરસના આયુવાળા અને તેથી એક સમય પણ અધિક યાવતુ પલ્યોપમ સાગરોપમાદિના આયુવાળા અસંખ્ય વરસના આયુવાળા કહેવાય છે. પોતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આયુ બાંધી શકે એ હકીકત સંખ્યાત વરસના આયુવાળા આશ્રયી ઘટે છે. અસંખ્યાત વરસના આયુવાળા આશ્રયી નહિ. અસંખ્યાત વરસના આયુવાળા તો પોતાનું છ માસ શેષ આયુ હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે. મતાંતરે યુગલિયા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે અને નારકીઓ અંતર્મુહૂર્ત આયુ બાકી હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે.