Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૭૭૪
નિરંતર આ જ ચાર પ્રકૃતિઓ બાંધે, એ અપેક્ષાએ અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોટિના ત્રીજા ભાગે અધિક ત્રણ પલ્યોપમ આ ચારેનો ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ ઘટી શકે, પરંતુ અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોટિના ત્રીજા ભાગની અહીં અવિવક્ષા કરી હોય તેમ લાગે છે.
તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો તેઉકાય અને વાયુકાયમાં નિરંતર બંધ થાય છે. તેઉકાય, વાયુકાયની સ્વકાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે. માટે આ ત્રણેનો ઉત્કૃષ્ટ નિરંતર બંધકાળ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે.
સાતમાથી તેરમા ગુણસ્થાનક સુધીમાં અસાતાનો બંધ ન હોવાથી કેવળ સાતા જ બંધાય છે અને તેરમા ગુણસ્થાનકનો ઉત્કૃષ્ટકાળ દેશોન પૂર્વક્રોડવર્ષ હોવાથી સાતાવેદનીયનો ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ પણ તેટલો જ છે.
સ્થાવરભવમાંથી બહાર આવી પુનઃ સ્થાવરમાં ગયેલ જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન સ્વરૂપ અનંતકાળ સ્થાવરમાં રહે છે. વળી ત્યાં વૈક્રિયશરીરનો બંધ જ ન હોવાથી અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાળ સુધી ઔદારિક શરીર જ બાંધે છે. તેથી ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ પણ તેટલો જ છે.
શુભવિહાયોગતિ, પુરુષવેદ, સૌભાગ્યત્રિક, સમચતુરગ્ન સંસ્થાન અને ઉચ્ચગોત્ર આ સાત પ્રકૃતિઓ સાસ્વાદન ગુણસ્થાનકથી આગળ બંધાતી જ નથી અને મિથ્યાત્વ તથા સાસ્વાદન ગુણસ્થાને ગયા વિના જીવ સંસારમાં કેટલાક મનુષ્યભવ અધિક એકસો બત્રીસ સાગરોપમ સુધી રહી શકે છે. પછી અવશ્ય મોક્ષે કે મિથ્યાત્વે જાય, માટે આ સાતેનો પાંચથી છ મનુષ્યભવ યુક્ત એકસો બત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ છે.
પરાઘાત, ઉચ્છ્વાસ, પંચેન્દ્રિય જાતિ અને ત્રસ ચતુષ્ક આ સાતનો ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ છથી સાત મનુષ્યભવ યુક્ત એકસો પંચાશી સાગરોપમ છે તે આ પ્રમાણે—
છઠ્ઠી નરકમાં રહેલ આત્મા પ્રતિપક્ષ પ્રકૃતિઓનો બંધ ન હોવાથી બાવીસ સાગરોપમ સુધી સતત આ સાત પ્રકૃતિઓનો બંધ કરે અને મરણના અંતર્મુહૂર્ત પહેલાં સમ્યક્ત્વ પામી સમ્યક્ત્વસહિત નરકમાંથી નીકળી મનુષ્યભવમાં આવી ત્યાં સુંદર સંયમનું પાલન કરી એકત્રીસ સાગરોપમના આયુષ્યપણે નવમી ત્રૈવેયકમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્તે મિથ્યાત્વ પામે પણ ભવપ્રત્યયથી જ પ્રતિપક્ષ પ્રકૃતિઓના બંધનો અભાવ હોવાથી નિરંતર આ સાત પ્રકૃતિઓ જ બાંધે, ત્યાં પણ મરણના અંતર્મુહૂર્ત પહેલાં સમ્યક્ત્વ પામી સમ્યક્ત્વ સહિત જ ત્યાંથી કાળ કરી મનુષ્યમાં આવે, મનુષ્યભવમાં દેશિવરિત અથવા સર્વવિરતિનું પાલન કરી બાવીસ સાગરોપમના આયુષ્યવાળા અચ્યુત દેવલોકમાં ત્રણ વાર દેવપણે ઉત્પન્ન થઈ છાસઠ સાગરોપમ પ્રમાણ ક્ષયોપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ કરી મનુષ્યભવમાં અંતર્મુહૂર્ત મિશ્રગુણસ્થાને જઈ પુનઃ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી બે વાર વિજયાદિ ચારમાંથી કોઈપણ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય. એ પ્રમાણે બીજી વાર પણ છાસઠ સાગરોપમ પ્રમાણ ક્ષયોપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ કરી મનુષ્યભવમાં આવી મોક્ષે જાય અ મિથ્યાત્વે જાય. આ રીતે આટલા કાળ સુધી કેટલેક ઠેકાણે ગુણપ્રત્યયથી અને કેટલેક સ્થાને ભવપ્રત્યયથી