Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર .
૨૮૩
તથાપ્રકારના કર્મપ્રધાન જીવ વડે જે પ્રાપ્ત થાય, અર્થાત્ તથાપ્રકારના કર્મ વડે જીવ જેને પ્રાપ્ત કરે તે ગતિ. જો કે શરીર સંઘયણાદિ સર્વ કર્મો વડે પ્રાપ્ત થાય છે, છતાં ગતિ એ રૂઢ અર્થવાળી હોવાથી આત્માનો નારકત્વ આદિ જે પર્યાય થાય છે એ જ અર્થમાં ગતિશબ્દ વપરાય છે. તે ચાર પ્રકારે છે : ૧. નરકગતિ, ૨. તિર્યગ્દતિ, ૩. મનુષ્યગતિ, અને ૪. દેવગતિ.
મનુષ્યત્વ, દેવત્વાદિ તે તે પર્યાય થવામાં હેતુભૂત જે કર્મ તેને ગતિનામકર્મ કહે છે. જેમ કે જે કર્મના ઉદયથી આત્માનો દેવપર્યાય થાય તે દેવગતિ નામકર્મ, એ પ્રમાણે મનુષ્યગતિ આદિ માટે પણ સમજવું.
હવે જાતિનામકર્મ કહે છે—અનેક ભેદ પ્રભેદવાળા એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયત્વાદિરૂપ જે સમાન-એકસરખો પરિણામ કે જેને લઈ અનેક પ્રકારના એકેન્દ્રિયાદિ જીવોનો એકેન્દ્રિયાદિરૂપે વ્યવહાર થાય એવું જે સામાન્ય તે જાતિ, અને તેના કારણભૂત જે કર્મ તે જાતિનામકર્મ.
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે—દ્રવ્યરૂપ બાહ્ય અને અત્યંતર નાસિકા અને કર્ણાદિ ઇન્દ્રિયો અંગોપાંગ નામકર્મ અને ઇન્દ્રિયપર્યાપ્તિ નામકર્મના સામર્થ્યથી સિદ્ધ છે, અને ભાવેન્દ્રિયો સ્પર્શનાદિ ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમથી સિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—‘ઇન્દ્રિયાવરણીય કર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયો ઉત્પન્ન થાય છે.’
પરંતુ આ એકેન્દ્રિય છે, આ બેઇન્દ્રિય છે, એવા શબ્દ વ્યવહારમાં કારણ તથાપ્રકારના સમાન પરિણામરૂપ જે સામાન્ય તે અન્યથી અસાધ્ય હોવાથી તેનું કારણ જાતિ નામકર્મ છે. કહ્યું છે કે—‘અવ્યભિચારી-નિર્દોષ સરખાપણા વડે એક કરાયેલ જે વસ્તુ સ્વરૂપ તે જાતિ' તેના નિમિત્તભૂત જે કર્મ તે જાતિનામકર્મ.
તે પાંચ પ્રકારે છે—૧. એકેન્દ્રિય જાતિનામકર્મ, ૨. બેઇન્દ્રિય જાતિનામકર્મ, ૩. .તેઇન્દ્રિય જાતિનામકર્મ, ૪. ચરિન્દ્રિય જાતિનામકર્મ, અને ૫. પંચેન્દ્રિય જાતિનામકર્મ.
જે કર્મના ઉદયથી અનેક ભેદ પ્રભેદવાળા એકેન્દ્રિય જીવોમાં એવો સમાન પરિણામ થાય કે જેને લઈ તે સઘળાનો આ એકેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે એકેન્દ્રિય જાતિનામકર્મ.
જે કર્મના ઉદયથી અનેક ભેદવાળા બેઇન્દ્રિય જીવોમાં એવો કોઈ સમાન બાહ્ય આકાર થાય કે જેને લઈ તે સઘળાનો બેઇન્દ્રિય એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે બેઇન્દ્રિય જાતિનામકર્મ.
એ પ્રમાણે તેઇન્દ્રિયાદિ જાતિનામકર્મનો પણ અર્થ સમજવો.
૧. જે કર્મના ઉદયથી જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય તે ગતિ નામકર્મ એમ સર્વાર્થસિદ્ધિકાર કહે છે.
૨. જાતિ નામકર્મ એ દ્રવ્યેન્દ્રિય કે ભાવેન્દ્રિય થવામાં હેતુ નથી. કારણ કે દ્રવ્યેન્દ્રિયો અંગોપાંગ