Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૧
૧૧૫ નિમિત્ત રહ્યું હોતું નથી, તેથી તેઓ જન્મ ધારણ કરતા નથી.'
અહીં જણાવ્યા પ્રમાણે સર્વ કર્મોથી મુકાયેલ મુક્તાત્માઓનું તેવા પ્રકારનું સ્વરૂપ છે તેથી, તેમજ તેમણે સર્વ પ્રયોજન પૂર્ણ કરેલ છે તેથી તે મુક્તાત્માઓને જન્માદિ ગ્રહણ કરવાનું કોઈ પણ કારણ છે જ નહીં. જેઓ સર્વ કર્મોથી સર્વથા મુકાયા છે તથા જેમના સર્વ પ્રયોજનની સમાપ્તિ થઈ છે, તેમને જન્મ ગ્રહણ કરવાનું કોઈ પણ નિમિત્ત રહ્યું નથી. વળી, તેમને જન્માદિને ગ્રહણ કરાવનાર સ્વભાવનો અભાવ હોય છે. તેમને તીર્થનો ઉચ્છેદ કરવારૂપ હેતુ પણ ઘટતો નથી, કારણ કે તે હેતુ કષાયરૂપ વિકારથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે જેમને કષાય રહી ગયા હોય તેમને એવો વિચાર આવે કે “મારું તીર્થ ઉચ્છેદ થયું છે, તેથી હું અવતાર લઈને ફરીથી તેનું સ્થાપન કરું', પરંતુ જેમને કષાયનો સર્વથા ક્ષય થયેલ છે, તેમને એવો વિચાર આવે જ નહીં.
સિદ્ધાત્મા ક્યારે પણ મોક્ષમાંથી પાછા આવતા નથી, કારણ કે સંસારપરિભ્રમણના કારણરૂપ એવા રાગ-દ્વેષાદિ ભાવોનો તેમને સર્વથા અભાવ થઈ ગયો છે. રાગ-દ્વેષના અભાવમાં અવતાર લેવાનું કંઈ કારણ રહેતું નથી. ગમે તેવા નિમિત્તે - કોઈ પણ પ્રસંગે તેમને પાછા આવવાનું કોઈ જ પ્રયોજન રહેતું નથી. ધર્મના અભ્યદય માટે, કોઈ ઉપર અનુગ્રહ કરવા માટે કે કોઈને બચાવવા માટે ઇત્યાદિ કોઈ પણ હેતુથી મુક્તાત્મા ફરી સંસારમાં આવતા નથી. તેમને કોઈ પ્રત્યે શત્રુ-મિત્રભાવ હોતો જ નથી, એટલે દાનવીરૂપી શત્રુને મારવા અને દેવતારૂપ મિત્રને બચાવવા જન્મ લેવાનો સંભવ જ નથી; માટે અવતારવાદ માનવો ઉચિત નથી.
જૈન દર્શનના મત અનુસાર મોક્ષ એક એવું સ્થાન છે કે જ્યાં ગયા પછી ફરીથી પાછા આવવાનું નથી. ત્યાં નથી કર્મબંધના હેતુઓ, ત્યાં નથી મન-વચન-કાયાના યોગ કે નથી રાગ-દ્વેષાદિ વિભાવભાવ; તેથી ત્યાં ગયા પછી પાછું આવવાનું થતું નથી. જેમને અનંત ચતુષ્ક પ્રાપ્ત થયું છે, જેઓ લોકાંતને પ્રાપ્ત થયા છે, જેમનાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો સર્વથા નષ્ટ થયાં છે; તેમનું ક્યારે પણ પુનરાગમન થતું નથી, અર્થાત્ તેઓ ફરી આ સંસારમાં આવતા નથી. મુક્તાત્મા ક્યારે પણ, અનંતા કાળ પછી પણ પાછા સંસારમાં આવતા નથી.
મોક્ષ અવસ્થા ક્યારે પણ નષ્ટ થતી નથી. તે અવિનાશી અર્થાત્ ત્રિકાળ છે. તે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ધર્મબિંદુ', અધ્યાય ૮, શ્લોક ૩૯
"सर्वविप्रमुक्तस्य तु तथा स्वभावत्वा
निष्ठितार्थत्वान्न तद्ग्रहणे निमित्तमिति ।।' ૨- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકત, ‘ધવલા', પુસ્તક ૪, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૫, પૃ. ૩૧૦
'ण च ते संसारे णिवदंति, णट्टासवत्तादो ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org