________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧
નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષો ત્યાં આવી રહ્યાં હતાં; નાના પ્રકારની કોમળ વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જલનાં ઝરણ ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલો દીઠો. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામ્યો, ઉપમારહિત રૂપથી વિસ્મિત થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે ! એનું કેવું મનોહર રૂપ છે ! એની કેવી અદ્ભુત સૌમ્યતા છે ! આ કેવી વિસ્મયકારક ક્ષમાનો ધરનાર છે ! આના અંગથી વૈરાગ્યનો કેવો ઉત્તમ પ્રકાશ છે ! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે ! એ ભોગથી કેવો વિરક્ત છે ! એમ ચિતવતો ચિતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેણિક બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછ્યું કે “હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ ઋતુના કામભોગ, જળ સંબંધીના વિલાસ, તેમજ મનોારિણી સ્ત્રીઓનાં મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ! તે મને અનુગ્રહથી કહો." રાજાનાં આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું, “હે રાજા ! હું અનાથ હતો. મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, એવો મારો કોઈ મિત્ર થયો નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.”
શિક્ષાપાઠ ૬. અનાથી મુનિ-ભાગ ૨
શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસીને બોલ્યો: “તમારે મહા રિસિવંતને નાય કેમ ન હોય ? જો કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !' અનાથીએ કહ્યું, 'અરે શ્રેણિક રાજા ! પણ તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ | નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા કયાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છે; ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી તે વચનનું યતિમુખથી શ્રવણ થયું એથી તે શંકિત થયો અને બોલ્યોઃ “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ હું પામ્યો છું; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; અનેક મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું મહાન છતાં અનાથ કેમ હોઉં ? રખે હે ભગવાન ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું, “રાજા ! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમજ્યો નથી. હવે હું જેમ અનાથ થયો; અને જેમ મેં સંસાર ત્યાગ્યો તેમ તને કહું છું. તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે
કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે.