________________
૪૩૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી.
૨૧. પ્ર૦- દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ?
ઉત્ત- કેવળ મોક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે; તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી.
૨૨. પ્ર- આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ?
ઉo- આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે. નીતિ, અનીતિ; તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્રાવ્ય છે; અને સર્વ જીવઆશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી.
ર૩. પ્રહ′′ દુનિયાનો પ્રલય છે ?
ઉ- પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને, અને જો તેવાં સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તોપણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે ? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે; અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદ્ભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી.
૨૪. પ્ર૦- અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે ?
ઉ- ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે, સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી.
૨૫. પ્ર- (૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે ? એમ હોય તો તે શું ? એ સાક્ષાત્ ઈશ્વર હતા
કે તેના અંશ હતા ? (ર) તેમને માનીને મોક્ષ ખરો ?