________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૩ મું
૬પ૩
ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સત્શાસ્ત્રઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.
સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્ત્તવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં. અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો.
આ પત્ર પરમકૃપાળુ શ્રી લલ્લુજીમુનિની સેવામાં પ્રાપ્ત થાય. ૐ શાંતિઃ
܀܀܀܀܀
૯૩૮
વવાણિયા, અસાડ સુદ ૧, ૧૯૫૬
તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે,
સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.'
શ્રીમાન આનંદધનજી
પત્રો સંપ્રાપ્ત થયાં. શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે; અર્થાત્ ક્વચિત્ ઠીક, ક્વચિત્ અશાતામુખ્ય રહે છે. મુમુક્ષુ ભાઈઓને, તે પણ લોકવિરુદ્ધ ન થાય તેમ, તીર્થાર્થે ગમન કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ૐ શાંતિ:
૯૩૯
મોરબી, અષાડ વદ ૯, શક, ૧૯૫૬
ૐ નમઃ
સમ્યક્ પ્રકારે વેદના અહિંયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે.
તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ યુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વૈદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.
܀܀܀܀܀
૯૪૦
ૐ શાંતિઃ
મોરબી, અસાડ વદ ૯, શુક્ર, ૧૯૫૬
પરમકૃપાનિધિ મુનિવરોનાં ચરણકમળમાં વિનયભક્તિ વડે નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર સંપ્રાપ્ત થયાં.
શરીર પ્રત્યે અશાતામુખ્યપણું ઉદયમાન વર્તે છે. તોપણ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જણાય છે.
અસાડ પૂર્ણિમા પર્વતના ચાતુર્માસ સંબંધી આપશ્રી પ્રત્યે જે કિંચિત્ અપરાધ થયો હોય તે નમ્રતાથી ખમાવું છું. ગચ્છવાસી પ્રત્યે પણ આ વર્ષ ક્ષમાપત્ર લખવામાં પ્રતિકૂળ લાગતું નથી.