________________
૬૭૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પણ પરિણામે પાપ વહોરે છે; તે બિચારા દાક્તરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે; પણ અત્યારે હિંસા તો પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય.
܀܀܀܀܀
૧૯
મુંબઈ, કાર્તિક વદ ૧૨, ૧૯૫૬
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ, માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉંઘમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે
અને વધે.
૨૦
મોરબી, વૈ. સુદ ૮, ૧૯૫૬
'ભગવદ્ગીતા'માં પૂર્વાપર વિરોધ છે, તે અવલોકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન, તે વીતરાગનાં છે.
–
ભગવદ્ગીતા પર ઘણાં ભાષ્ય, ટીકા રચાયાં છે “વિદ્યારણ્યસ્વામી”ની ‘જ્ઞાનેશ્વરી’ આદિ. દરેક પોતપોતાની માનીનતા ઉપર ઉતારી ગયા છે. ‘થિયૉસૉફી'વાળી તમને આપેલી ઘણે ભાગે સ્પષ્ટ છે. મણિલાલ નભુભાઈએ ગીતા પર વિવેચનરૂપ ટીકા કરતાં મિશ્રતા બહુ આણી દીધી છે, સેળભેળ ખીચડો કર્યો છે.
વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા તે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય.
મણિભાઈ કહે છે (ષદર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે ફરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તો એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પોતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસુરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિનો “ધર્મસંગ્રહણી' જોયો હોત તો ખબર પડતા. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનોની ખબર હતી. તે બધાં દર્શનોની પર્યાલોચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિરોધ પ્રતીત કર્યું હતું. અવલોકનથી જણાશે. 'ષડ્દર્શનસમુચ્ચય'ના ભાષાંતરમાં દોષ છતાં મણિભાઈએ ભાષાંતર ઠીક કર્યું છે, બીજા એવું પણ ન કરી શકે. એ સુધારી શકાશે.
܀܀܀܀܀
૨૧
શ્રી મોરબી, વૈ. સુદ ૯, ૧૯૫૬
વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે, એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.
܀܀܀܀
૨૨
મોરબી, અસાડ સુદ, ૧૯૫૬
'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनीसंगशून्यःः
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव.'
‘તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.’