________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૬૯૩
હતાં તેવાં એકમેક પછી થાય નહીં, તેમ મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણિની કિંમત થઈ છે, પણ કાચની મણિ આવે ત્યારે હીરામણિ સાક્ષાત્ અનુભવમાં આવે તે દૃષ્ટાંત પણ અત્રે ઘટે છે.
નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. જેમ, એક માણસે કાચની મણિ લઈ ધાર્યું કે, ‘મારી પાસે સાચી મણિ છે, આવી ક્યાંય પ્રાપ્ત થતી નથી.' પછી તેણે એક વિચારવાન પાસે જઈ કહ્યું, “મારી મણિ સાચી છે.' પછી તે વિચારવાને તેથી સારી, તેથી સારી, એમ વધતી વધતી કિંમતની મણિ બતાવીને કહ્યું કે જો, ફેર લાગે છે ? બરાબર જોજે, ત્યારે તેણે કહ્યું, ‘હા, ફેર લાગે છે.’ પછી તે વિચારવાને ઝુમર બતાવી કહ્યું; જો, તારા જેવી તો હજારો મળે છે. આખું ઝુમર બતાવ્યા પછી સાચી મણિ બતાવી ત્યારે તેને તેની બરાબર કિંમત થઈ, પછી જાડીને જાઠી જાણી મૂકી દીધી. પછી કોઈક સંગ મળવાથી તેણે કહ્યું કે તેં આ મણિ જે સાચી જાણી છે એવી તો ઘણી મળે છે. આવાં આવરણોથી વહેમ આવી જવાથી ભૂલી જાય; પણ પછી જાઠી દેખે. જે પ્રકારે સાચાની કિંમત થઈ હોય તે પ્રકારે, તે તરત જાગૃતિમાં આવે કે સાચી ઝાઝી હોય નહીં, અર્થાત્ આવરણ હોય, પણ પ્રથમની ઓળખાણ ભુલાય નહીં. આ પ્રકારે વિચારવાનને સદ્ગુરુનો યોગ મળતાં તત્ત્વપ્રતીતિ થાય, પણ પછી મિથ્યાત્વના સંગથી આવરણ આવતાં શંકા થઈ જાય; જોકે તત્ત્વપ્રીતિ જાય નહીં પણ તેને આવરણ આવી જાય. આનું નામ “સાસ્વાદન સમ્યક્ત્વ.’
સદ્ગુરુ, સદૈવ, કેવળીનો પ્રરૂપેલો ધર્મ તેને સમ્યક્ત્વ કહ્યું, પણ સદૈવ અને કેવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા.
સદ્ગુરુ અને અસદ્ગુરુમાં રાતદિવસ જેટલો અંતર છે.
એક ઝવેરી હતો. વેપાર કરતાં ઘણી ખોટ જવાથી તેની પાસે કાંઈ પણ દ્રવ્ય રહ્યું નહીં. મરણ વખત આવી પહોંચ્યો એટલે બૈરાંછોકરાનો વિચાર કરે છે કે મારી પાસે કાંઈ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ તો છોકરો નાની ઉંમરનો છે તેથી દેહ છૂટી જશે. સ્ત્રીએ, સામું જોયું ત્યારે કહ્યું કે કાંઈ કહો છો ? પુરુષે કહ્યું, શું કહું ? સ્ત્રીએ કહ્યું કે મારું અને છોકરાનું ઉદરપોષણ થાય તેવું બતાવો ને કંઈ કહો, ત્યારે પેલાએ વિચાર કરીને કહ્યું કે ઘરમાં ઝવેરાતની પેટીમાં કિંમતી નંગની દાબડી છે તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે જઈને વેચાવજે, ત્યાં તને ઘણું દ્રવ્ય આવશે. આટલું કહીને પેલો પુરુષ કાળધર્મ પામ્યો. કેટલાક દિવસે નાણા વિના ઉંદરપોષણ માટે પીડાતાં જાણી, પેલો છોકરો તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતના નંગ લઈ, તેના કાકા પિતાનો ભાઈબંધ ઝવેરી) પાસે ગયો ને કહ્યું કે મારે આ નંગ વેચવાં છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપો. ત્યારે પેલા ઝવેરીભાઈએ પૂછ્યું: “આ નંગ વેચીને શું કરવું છે ?” ‘ઉદર ભરવા પૈસા જોઈએ છે,' એમ પેલા છોકરાએ કહ્યું ત્યારે તે ઝવેરીએ કહ્યું: ‘સો-પચાસ રૂપિયા જોઈએ તો લઈ જા, ને રોજ મારી દુકાને આવતો રહેજે, અને ખર્ચ લઈ જજે. આ નંગ હાલ રહેવા દે.' પેલા છોકરાએ પેલા ભાઈની વાત સ્વીકારી; અને પેલું ઝવેરાત પાછું લઈ ગયો. પછી રોજ ઝવેરીની દુકાને જતાં ઝવેરીના સમાગમે તે છોકરો હીરા, પાના, માણેક, નીલમ બધાંને ઓળખતાં શીખ્યો ને તેની તેને કિંમત થઈ. પછી પેલા ઝવેરીએ કહ્યું: ‘તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યો હતો તે લાવ, હવે વેચીએ.' પછી ઘરેથી છોકરાએ પોતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું તો નંગ ખોટાં લાગ્યાં, એટલે તરત ફેંકી દીધાં. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછ્યું કે તેં નાખી કેમ દીધાં ? ત્યારે તેણે કહ્યું કે સાવ ખોટાં છે માટે નાંખી દીધાં છે.