________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૨૧
ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બન્ને ક્રિયાના સંબંધમાં સમજવું. ક્રિયા, શુભ અને અશુભનો નિષેધ કહ્યો હોય તો મોક્ષની અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાનીપુરુષનું કથન હોય જ નહીં. સત્પુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં.
જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે.
શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં; કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજસમાધિ કહી. સમકિતર્દષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શોક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. તે ‘આમ થવું ન ઘટે’ એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષ શોક થાય તોપણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતદૃષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતદેષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતર્દષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી તેથી મિથ્યાર્દષ્ટિ બહારનાં કારણોમાં તદાકાર થઈ જઈ તે રૂપ થઈ જાય છે. સમકિતદૃષ્ટિને બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહીં; જોકે રોગ ના આવે એવું ઇચ્છે નીં; રોગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહીં.
શરીરનો ધર્મ, રોગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તો સર્વેએ ભોગવવું જ જોઈએ. સમકિત આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસક્તભાવને અમસ્ત્રી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું.
બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવાં; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તો સમકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીરસ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જીવો હાલમાં નથી. કેમકે તેમને થયાં ૨૫૦૦ વર્ષ થયાં માટે પ્રત્યક્ષજ્ઞાની જોઈએ. કાળ વિકરાળ છે. કુગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવી ભુલાવ્યા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે, એટલે જીવ માર્ગમાં કેમ આવે ? જોકે કુગુરુઓએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાઓનો વાંક નથી. કેમકે કુગુરુને પણ તે માર્ગની ખબર નથી. કુગુરુને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે પણ કહે નહીં કે “મને આવડતો નથી'. જો તેમ કહે તો કર્મ થોડાં બાંધે. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધો રોગ ક્યાંથી મટે ? જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાધિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઈ; અને તેથી બીજા ગુણો પ્રગટે જ.
સમકિત છે તે દેશ ચારિત્ર છે. દેશે કેવળજ્ઞાન છે.
શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષનો સાવ નિષેધ નથી. જેમ આગગાડીનો રસ્તો છે તેની મારફતે વહેલા જવાય, ને પગરસ્તે મોડા જવાય, તેમ આ કાળમાં મોક્ષનો રસ્તો પગરસ્તા જેવો હોય તો તેથી ન પહોંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તો વહેલા જવાય, કાંઈ રસ્તો બંધ નથી. આ