________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૬પ૧
મુંબઈ, કારતક, ૧૯૫૨
×જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય 'સમજીને સમાઈ રહ્યા' તેનો અર્થ છે.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય ‘સમજીને શમાઈ ગયા' તેનો અર્થ છે.
પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અર્હત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.
આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.
X
જુઓ આંક ૬૪૫.