________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૩ મું
૭૪૫
ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉંપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
તે સન્માર્ગને ગવેષતા, પ્રીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક, નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ.
भीसण नयगईए, तिरियगईए कुदेवमणुयगईए:
पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव.
ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુખને પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ
૯૧૪
ધર્મપુર, ચૈત્ર વદ ૫, ગુરુ, ૧૯૫૬
જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હોય અને નિવૃત્તિને યોગ્ય વિશેષ કારણો જ્યાં હોય તેવાં ક્ષેત્રે મહત પુરુષોએ વિહાર, ચાતુર્માસરૂપ સ્થિતિ કર્તવ્ય છે.
મુમુક્ષુઓ,
૯૧૫
ૐ નમઃ
શાંતિ
ધર્મપુર, ચૈત્ર વદ ૬, શુક્ર, ૧૯૫૬
તમે લખેલો કાગળ મુંબઈ આવ્યો હતો. અત્ર વીસ દિવસ થયાં સ્થિતિ છે. કાગળમાં તમે બે પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે.
૧. ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ઉપશમસમ્યકત્વ' સંભવે છે.
૨. ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લામાંતરાય, વીર્યાતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંત ભોગપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે, તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે. ઉદયિક-