________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૪૯
એક રાંક છે અને એક રાજા છે. એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, રૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.૮૪
તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જોઈએ; કેમકે જીવપણું સમાન છે, તથા મનુષ્યપણું સમાન છે, તે સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે; કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, એમ શુભ અને અશુભ કર્મ ભોગવાય છે. (૮૪)
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર:
કર્મ સ્વભાવે પરિણમે. થાય ભોગથી દુર. ૮૫
ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. ૮૫
ઝેર ઝેરપણે પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભ કર્મ અશુભપણે પરિણમે અને શુભ કર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે, તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે; અને જેમ ઝેર અને અમૃત પરિણમી રહ્યે નિઃસત્ત્વ થાય છે, તેમ ભોગથી તે કર્મ દૂર થાય છે. (૮૫) તે તે ભૌગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ:
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬
ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય । જડચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તોપણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. ૮૬
તેમ જ, ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કેમકે તેમાં તો ઈશ્વરના કર્તૃત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મદ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિઓ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે.
આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુદ્ગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણો વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્ર તો મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનો હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (૬)