________________
૬૧૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રબળ છે. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિષે તે ગુણો ઉત્પન્ન થાય એવું
વર્તન કરવું.
નિયમિતપણે નિત્ય સગ્રંથનું વાંચન તથા મનન રાખવું યોગ્ય છે. પુસ્તક વગેરે કંઇ જોઇતું હોય તો અત્રે મનસુખને લખવું. તે તમને મોકલશે.
શુભેચ્છાસંપન્ન શ્રી મનસુખ પુરુષોત્તમ આદિ, શ્રી ખેડા.
કાગળ મળ્યો છે.
܀܀܀܀
૭૯૫
મુંબઈ. શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩
તમારી તરફ વિચરતા મુનિ શ્રીમદ્ લલ્લુજી આદિને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકીર્ણજીના પ્રશ્નો મળ્યાં હતાં. તેમને વિનયસહિત વિદિત કરશો કે “મોક્ષમાર્ગપ્રકાશ" વાંચવાથી કેટલુંક સમાધાન તે પ્રશ્નોનું થશે અને વિશેષ સ્પષ્ટતા સમાગમઅવસરે થવા યોગ્ય છે,
પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયોગમાં સાસ્ત્રનો યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે. એ જ વિનંતિ. ઐ
܀܀܀܀܀
૭૯૬
મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩
"મોહમુગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો હાલ વાંચવાનો પરિચય રાખશો. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારો બતાવ્યા છે.
કાગળ મળ્યો છે.
܀܀܀܀܀
૭૯૭
મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩
શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે. શ્રી સોભાગના વિયોગથી તેમને સૌથી વધારે ખેદ થવો યોગ્ય છે. એક બળવાન સત્સમાગમનો યોગ જવાથી આત્માર્થીના અંત કરણમાં બળવાન ખેદ થવા યોગ્ય છે.
તમે, લહેરાભાઇ, મગન વગેરે સર્વ મુમુક્ષુઓ નિરંતર સત્શાસ્ત્રનો પરિચય રાખવાનું ચૂકશો નહીં. કોઇ કોઇ પ્રશ્ન અત્ર લખો છો તેના ઉત્તર ઘણું કરીને હાલ લખવાનું થતું નથી, તેથી કંઇ પણ વિકલ્પમાં ન પડતાં અનુક્રમે તે ઉત્તર મળી જશે એમ વિચારવું યોગ્ય છે.
થોડા દિવસ પછી ઘણું કરીને શ્રી ડુંગર પ્રત્યે એક પુસ્તક તેમને નિવૃત્તિનું પ્રધાનપણું રહે તેવું વાંચવા અર્થે મોકલવાનું થશે. રાધનપુર મણિલાલ પર અત્રેથી એક પત્તું લખ્યું હતું.
܀܀܀܀܀
૭૯૮
મુંબઈ, શ્રાવણ વદ ૧૦, રવિ, ૧૯૫૩ ‘’મોક્ષમાર્ગપ્રકાશ’’શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે, તેમને શ્રવણ કરાવશો. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશો. શ્રોતાને કોઇ એક સ્થાનકે વિશેષ સંશય થાય તો તેનું સમાધાન કરવું યોગ્ય છે. કોઇ એક સ્થળે સમાધાન અશક્ય જેવું દેખાય તો કોઇ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં; તેમ જ કોઇ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ ભ્રમનો હેતુ થશે, અને નિઃસંશયપણાથી થયેલા શ્રવણનો લાભ વૃથા જેવો થશે, એવી દૃષ્ટિ શ્રોતાને હોય તો વધારે હિતકારી થાય.