________________
૩૦૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ રાજચંદ્ર
૨૮૪
વવાણિયા, આસો સુદ ૬, ગુરુ, ૧૯૪૭
૧. પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં.
૨. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં.
૧
૩. સમ્મતિતર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, કે જેટલા વચનમાર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે.
૪. અક્ષય ભગત કવિએ કહ્યું છે કેઃ-
‘કર્તા મટે તો છૂટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ;
જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી;
તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ.'
૨૮૫
વવાણિયા, આસો સુદ ૭, શુક્ર, ૧૯૪૭
અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે.
આ પત્રમાં લખેલાં પ્રશ્નોનો ટૂંકામાં નીચે ઉત્તર લખ્યો છે-
૧-૨-૩, એ ત્રણે પ્રશ્નો સ્મૃતિમાં હશે, એમાં એમ જણાવ્યું છે કે - '(૧) ઠાણાંગમાં આઠ વાદી કહ્યા છે, તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું ? (૨) એ આઠ વાદથી કોઈ જુદો મારગ આદરવા જોગ હોય તો તે જાણવા સારુ આકાંક્ષા છે. (૩) અથવા આઠે વાદીના માર્ગનો સરવાળો કરવો એ જ મારગ છે કે શી રીતે ? અથવા તે આઠ વાદીના સરવાળામાં કાંઈ ન્યૂનાધિકતા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે ? અને છે તો શું ?’
આમ લખ્યું છે; તે વિષે જાણવાનું કે, એ આઠ વાદીનાં બીજાં તે સિવાયનાં દર્શનોમાં - સંપ્રદાયોમાં - માર્ગ કંઈક (અન્વય) જોડાયેલો રહે છે, નહીં તો ઘણું કરીને જુદો જ (વ્યતિરિક્ત) રહે છે તે વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કોઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે; પણ સમ્યક્જ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. માર્ગની જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું; બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. સાધારણ જ્ઞાનનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન.
‘તીર્થંકર આવી ગર્ભમાં ઊપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે ? અને જાણે તો શી રીતે ?” એના ઉત્તરમાં : સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ 'અવધિજ્ઞાનથી' તીર્થંકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી ‘જન્મથી’ તીર્થંકર અવધિજ્ઞાનસંયુક્ત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યજ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન.
જ
મુમુક્ષુતાની સન્મુખ થવા ઇચ્છતા તમો બન્નેને યથાયોગ્ય પ્રણામ કરું છું.
ઘણું કરીને પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ હ્રદયમાં વર્તે છે અને તેને લીધે તેમ જ વર્તવામાં કાળ વ્યતીત થાય છે, અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યાં છે.
શાંતમૂર્તિ સૌભાગ્ય હાલ મૌરબી છે.
૧. તૃતીય કાંડ, ગાથા ૪૭.