________________
390
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૪૪૨
મુંબઈ, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૪૯
ધાર તરવારની સોહલી, દોલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.
એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું ? તે વિચારવા યોગ્ય છે.
- શ્રી આનંદઘન - અનંતજિનસ્તવન.
܀܀܀܀܀
આત્મપ્રણામ.
૪૪૩
મુંબઈ, ચૈત્ર વદ ૮, રવિ, ૧૯૪૯
સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય, તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પ કાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે, તે ઉપકારકારક જાણી સુખે રહેવા યોગ્ય છે.
܀܀܀܀܀
૪૪૪
મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯
સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તીએ તો સારું, એમ કદાપિ ભાસે, તોપણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય છે, અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી.
જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યોગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે; તે તાપનો યોગ મટ્યથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. એમ આ પ્રવૃત્તિજોગ અમને છે; પણ અમારો તે પ્રવૃત્તિ વિષે હાલ તો વેદ્યા સિવાય અન્ય ઉપાય નથી.
નમસ્કાર પહોંચે.
܀܀܀܀
૪૪૫
મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯
જે મુ અત્રે ચાતુર્માંસ અર્થે આવવા ઇચ્છે છે. તેમનો જો આત્મા ન દુભાય તેમ હોય તો જણાવશો કે આ ક્ષેત્રને વિષે તમને આવવું નિવૃત્તિરૂપ નથી. કદાપિ અત્ર સત્સંગની ઇચ્છાથી આવવું વિચાર્યું હોય તો તે જોગ બનવો ઘણો વિકટ છે; કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. પ્રવૃત્તિનાં બળવાન કારણોની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે; એમ જાણી જો બીજો વિચાર કરવો તેમને સુગમ હોય તો કરવો યોગ્ય છે. એ પ્રકારે લખવાનું બને તો લખશો.
હાલ તેમને ત્યાં શી દશા વર્તે છે ? સમાગમજોગ વિશેષપણે ત્યાં સત્સંગનો કરવો યોગ્ય છે. વિશેષ તમારા કોઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખવું હાલ સૂઝતું નથી.
૪૪૬
આત્મસ્થિત.
મુંબઈ, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૪૯
પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની
જ્ઞાનીપુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે.