________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૪૦૫
કંઈ સંસારાર્થ હેતુ નથી, ઊલટો સંસારાર્થ મટવાનો હેતુ છે; અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. જેથી જ્ઞાનીપુરુષની અનુજ્ઞાએ કે કોઈ સત્સંગી જનની અનુજ્ઞાએ પત્ર-સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે, એમ કહી શકાય નહીં; તથાપિ તમને સાધુએ પચખાણ આપ્યાં હતાં તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે. પચખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો તે ભંગ કરવાનો હેતુ શો છે ? જો તે પચખાણ લેવા વિષેમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું તો તે તમારે લેવાં ઘટે નહીં, અને જો કોઈ લોકદાબથી તેમ થયું તો તેનો ભંગ કરવો ઘટે નહીં, અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તોપણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં; કારણ કે જીવ રાગદ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે. તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણી વાર વિપર્યય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પંચખાણ કર્યું છે, તે અપરાધ યોગ્ય છે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કોઈ રીતે ઘટે છે. "પણ કોઈ જાતની સંસારબુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઇચ્છા નથી, આ જે કંઈ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિષેમાં છે, અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર ક્લેશવાળું થતું હતું; એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે, એમ ગણી લખવાનું થયું છે. મહારાજે પચખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતાં કે કોઈ સંસારી પ્રયોજનમાં એથી હું ન પડી જાઉં; અને તે માટે તેમનો ઉપકાર હતો, પણ મેં સંસાર પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી; તમારા સંઘાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી; તોપણ એક પ્રકારે મારી ભૂલ છે તો તે અલ્પ, સાધારણ પ્રાયશ્ચિત્ત આપી ક્ષમા આપવી ઘટે છે. પર્યુષણાદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે, તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે અને જ્ઞાનચર્ચા લખાય તોપણ અડચણ નથી,' એ વગેરે ભાવ લખેલ છે. તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતાં સુધી પ્રાયશ્ચિત્તનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત્ત લેવામાં બાધ નથી. તેઓ વગર પ્રાયશ્ચિત્તે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તોપણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાત્તાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું, હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે, તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી.
શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્ત્વ હર્ષ થયો છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા ‘યોગવાસિષ્ઠાદિ” ગ્રંથો વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીનો કરેલો ‘વિચારમાળા’ ગ્રંથ સટીક અવલોકવા યોગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઇચ્છે છે, તથાપિ પ્રારબ્ધયોગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. અને એક બીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ રાખવો યોગ્ય છે.
પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે,