________________
૪૧૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.
શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંતકર્મનો બંધ કરતો આવ્યો છે, એમ કહ્યું છે; તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, ‘તો તેવાં અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં.' જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મનો કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે; પણ સમયે સમયે અનંતકાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવઆશ્રયી એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે; અને જે પરિણામ વર્ત્યા કરે તો હજુ પણ એમ ને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે; તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાનપરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંતકાળ પણ ચૌદે રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મમરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીયકર્મનું બંધન થાય તો સિત્તેર કોડાકોડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, પણ એવાં મોહનીયકર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણાં બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ સૌ એક મોહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં; કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત્ જીવને અજ્ઞાનભાવી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંતદુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સુક્ષ્મપણે કહ્યો છે. તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે.