________________
૪૦૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ઢીલો થાય, તે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદસહિત છે. અનાર્યભૂમિમાં વિચરવાની 'બૃહત્કલ્પ'માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમર્યાદા કરી છે; પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે; તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે, કોઈ જ્ઞાનીપુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય, અને પત્રસમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા જ્ઞાનીપુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જિનાગમથી નિષેધ થતો નથી, એમ જણાય છે. કારણ કે પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ ? તે હવે વિચારવા યોગ્ય છે.
એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે, તથાપિ તે કોઈક કાળ અર્થે, કોઈક મોટા પ્રયોજને, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થે છે, એમ સમજવા યોગ્ય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં; જ્ઞાનીપુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે, તથાપિ બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. વળી કાળ એવો આવ્યો છે કે, જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લોકમાર્ગમાં વર્તતા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહારમાર્ગનો નાશ કરનાર ભાસ્યમાન થાય, તે સંભવિત છે; તેમ આ માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્રસમાચારાદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્યત્યાગ પણ હણાય.
એવું જાણી એ વ્યવહાર ઘણું કરી અંબાલાલ આદિથી પણ કરવી નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તોપણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાનીપુરુષની વાણીથી રૂપાંતર થયાં હોત તો હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયાં છે, તે ઘટારત નથી થયું, મૂળ સ્વાભાવિક પચખાણનો અત્રે વ્યાખ્યાઅવસર નથી; લોક પચખાણની વાતનો અવસર છે; તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઇચ્છાએ તોડવાં ઘટે નહીં, એવો હમણાં તો દૃઢ વિચાર જ રાખવો. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય, ત્યારે તે પચખાણ જ્ઞાનીપુરુષની વાણીથી કે મુમુક્ષુ વના પ્રસંગથી સહેજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવાં, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે, એ વગેરે ઘણા હેતુ ધારી બનતાં સુધી પત્રાદિ વ્યવહાર ઓછો કરવો એ જ યોગ્ય છે. અમ પ્રત્યે ક્યારેક તેવો વ્યવહાર તમને હિતકારીરૂપ છે, માટે કરવો યોગ્ય લાગતો હોય તો તે પત્ર શ્રી દેવકરણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો, કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કાંઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારનો પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય, મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે; કદાપિ તેમને તેમ લાગતું હોય તો કોઈ પ્રસંગમાં તેમનો તે અંદેશો અમે નિવૃત્ત કરીશું, તથાપિ તમારે ઘણું કરી વિશેષ પત્રવ્યવહાર કરવો યોગ્ય નહીં, તે લક્ષ ચૂકશો નહીં. 'ઘણું કરી' શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાધ ન થાય તે છે. વિશેષ પત્રવ્યવહાર કરવાથી તે જ્ઞાનચર્ચારૂપ હશે તોપણ લોકવ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને