________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૫૭
૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. ૧૬. તેમનાં મૂર્ધસ્થાનને વિષેથી તે વખતે ૐકારનો ધ્વનિ થયા કરે છે એમ ભાવવું.
૧૭. તે ભાવનાઓ દૃઢ થયે તે કાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું.
૧૮, જે પ્રકારના સમ્યકુમાર્ગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિતવતાં ચિંતવતાં તે જ્ઞાન તે શું ? એમ ભાવવું.
૧૯. તે ભાવના દેઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે, તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવવો, સર્વાંગ ચિંતવવો.
ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દૃઢ કરીને લાગે છે.
જ્ઞાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો 'હું જાણું છું’, ‘હું સમજું છું’ એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્ત્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક ‘સ્વચ્છંદ’ નામનો મહા દોષ છે; અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.
જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઇચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજું તમને પ્રેમ વર્તે છે; 'હું જાણું છું,' 'હું સમજું છું', એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઇચ્છા રહે છે, એ વગેરે જે દોષો તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાનીપુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.
܀܀܀܀܀
૪૧૭
આશ્વિન, ૧૯૪૮
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિનમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ