________________
૩૪૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
છે. એ પ્રકારે એ વિચારવા યોગ્ય, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો
પરિસમાપ્ત થાય છે.
આ પ્રસંગ સિવાય બીજા જૂજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે, તથાપિ તે બાકી રાખી આ પત્ર
પરિસમાપ્ત કરવું યોગ્ય ભાસે છે.
જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે મદદૃષ્ટિ નથી એવા શ્રી નિષ્કામ આત્મસ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય.
‘ઉદાસીન’ શબ્દનો અર્થ સમપણું છે.
܀܀܀
૩૯૯
મુંબઈ, શ્રાવણ, ૧૯૪૮
મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવાં માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મનાં નિબંધની અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.
સત્પુરુષનો દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે, તે પ્રકારે જો તમારાથી પ્રવર્તવાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું યોગ્ય છે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે. કોઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તે જીવનો અનાદિ અભ્યાસ છે એમ જાણી સહનતા રાખવી એ વધારે યોગ્ય છે.
જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દોષભાવે પ્રવર્તવું, એ જીવને જોકે મહા દુઃખદાયક છે, એમ જાણીએ છીએ; અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવું થાય છે, ત્યારે જાણીએ છીએ કે જીવને કોઈ તેવાં પૂર્વકર્મનું નિબંધન હશે. અમને તો તે વિષે અદ્વેષ પરિણામ જ છે, અને તેમના પ્રત્યે કરુણા આવે છે. તમે પણ તે ગુણનું અનુકરણ કરો અને જે પ્રકારે તેઓ ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ ખોલવાનો પ્રસંગ ન પામે તેમ યોગ્ય માર્ગ ગ્રહણ કરો, એ ભલામણ છે.
અમે પોતે ઉપાધિપ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ, કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. માટે નિરુપાધિવાળાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સેવન અવશ્યનું છે; એમ જાણતાં છતાં પણ હાલ તો એમ જ કહીએ છીએ કે તે ઉપાધિ વહન કરતાં જતાં નિરુપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો. અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તે તમને કેમ અભક્ષ્ય હોય ? તે જાણીએ છીએ; પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ ? તે તમે વિચારો.
એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી, તેમ છતાં ઘણા કાળ થયાં સેવ્યા આવીએ છીએ; સેવીએ છીએ; અને હજુ અમુક કાળ સેવવાનું ધારી રાખવું પડ્યું છે, અને તે જ ભલામણ તમને કરવી યોગ્ય માની છે. જેમ બને તેમ વિનયાદિ સાધનસંપન્ન થઈ સત્સંગ, સત્શાસ્ત્રાભ્યાસ, અને આત્મવિચારમાં પ્રવર્તવું, એમ કરવું એ જ શ્રેયસ્કર છે.
તમે તથા બીજા ભાઈઓનો હાલ સત્સંગ પ્રસંગ કેમ રહે છે ? તે જણાવો.
સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી.
܀܀܀܀܀