________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૪૫
પણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે; તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને - યથાર્થ વિચાર કરીને - કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે- આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી.
તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.
થોડાં વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે, અને ઘણા જ ટુંકાણમાં તે લખ્યો છે છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવો પડે છે.
આ પત્ર તમને, તથા તમારા જેવો બીજા જે જે ભાઈઓને પ્રસંગ છે તેમને, પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે; અને બાકીનો બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. અત્ર ઉદય-ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે.
કૃષ્ણદાસના સંગમાં 'વિચારસાગરના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય.
܀܀܀܀܀
૩૯૮
"પ્રારબ્ધ દેહી"
મુંબઈ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૪૮
સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (...) - ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી ‘સુભાગ્ય”, તેમના પ્રત્યે.
છે
શ્રી ‘મોહમયી’ સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે, એવાં તમ લિખિત ઘણાં પત્રો અનુક્રમે પ્રાપ્ત થયાં છે. આત્માકાર સ્થિતિ અને ઉપાધિજોગરૂપ કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે.
અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિજોગ પણ વિશેષ રહ્યો છે, અને રહે છે; જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે; અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. વળી દિવાળી પહેલાં તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી.
તમ લિખિત કેટલાંક પત્રોને વિષે જીવાદિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં