________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૧૬
૨૦૧
‘સત્’
આ જે કંઈ જોઈએ છીએ, જે કંઈ જોઈ શકાય તેવું છે; જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે.
જે કંઈ છે તે
સત્ જ છે. અન્ય નહીં.
તે સત્ એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે.
તે જ સત્ જગતરૂપે બહુ પ્રકારનું થયું છે; પણ તેથી તે કંઈ સ્વરૂપથી ચ્યુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં અનેકાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળાં અને બાજુબંધાદિક અનેક પ્રકારે હોય તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાંતર ભાસે છે. અને તે તેની સત્તા છે. તેમ આ સમસ્ત વિશ્વ તે ‘સત્’નું પર્યાયાંતર છે, પણ ‘સત્’રૂપ જ છે.
પરમ પૂજ્ય,
૨૧૭
મુંબઈ, માહ સુદ, ૧૯૪૭
આપને સહજ વાંચનના ઉપયોગાર્થે આપના પ્રશ્નનો ઉત્તરવાળો કાગળ આ સાથે બીડું છું.
પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પુર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે- અને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ' 'વનમાં જઈએ' એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે.
ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીધ્ર એ ભક્તિ આપે છે.
જડભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી; રહ્યું જતું નથી; અને આપનો વિયોગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કોઈ જડતો નથી. ઉદયકર્મ ભોગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી.
'સત્-સત્' એનું રટણ છે, અને સતનું સાધન 'તમે' તે ત્યાં છો. અધિક શું કહીએ ? ઈશ્વરની