________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૮૧
૨. મારી અવિદ્યમાનતાએ તેઓથી પરમાર્થ વિષય ગંભીરતાપૂર્વક બને તો જરૂર ચર્ચિત કરવો. કોઈ વખતે
રેવાશંકરથી અને કોઈ વખતે ખીમજીથી.
૩. પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે,
૧. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું ?
૨. જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું ?
૩. તે કારણ કેમ ટળે
૪. તે માટે સુગમમાં સુગમ એટલે થોડા કાળમાં ફળદાયક થાય એવો કયો ઉપાય છે ?
૫. એવો કોઈ પુરુષ હશે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય ? આ કાળમાં એવો પુરુષ હોય એમ તમે ધારો છો ? અને ધારો છો તો કેવાં કારણોથી ? એવા પુરુષનાં કંઈ લક્ષણ હોય કે કેમ ? હાલ એવો પુરુષ આપણને કયા ઉપાયે પ્રાપ્ત હોઈ શકે ?
શું
૬. જો અમારા સંબંધી કંઈ પ્રસંગ આવે તો પૂછવું કે ‘મોક્ષમાર્ગ’ની એમને પ્રાપ્તિ છે, એવી નિઃશંકતા તમને છે ? અને હોય તો શું કારણોને લઈને ? પ્રવૃત્તિવાળી દશામાં વર્તતા હોય, તો પૂછવું કે, એ વિષે તમને વિકલ્પ નથી આવતો ? એમને સર્વ પ્રકારે નિઃસ્પૃહતા હશે કે કેમ ? કોઈ જાતના સિરિજોગ હશે કે કેમ
૭. સત્પુરુષની પ્રાપ્તિ થયે જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ ? એમ બને તો તેનું કારણ શું ? જો જીવની 'અયોગ્યતા' જણાવવામાં આવે તો તે અયોગ્યતા કયા વિષયની ?
૮. ખીમજીને પ્રશ્ન કરવું કે તમને એમ લાગે છે કે આ પુરુષના સંગે યોગ્યતા આવ્યે તેની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ હોય ?
આ વગેરે વાર્તા પ્રસંગે પ્રાપ્ત કરી ચર્ચવી, એકેક વાર્તાનો કંઈ નિર્ણાયક ઉત્તર તેમના તરફથી મળ્યે બીજે પ્રસંગે બીજી વાર્તા ચર્ચવી.
ખીમજીમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે; પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. યોગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે.
ઉપરની વાર્તામાંથી તમને જે સુગમ લાગે તે પૂછવી. સુગમતા એકેની ન હોય તો એકેય ન પૂછવી; તેમ આ વાર્તાનો પ્રેરક કોણ છે ? તે જણાવવું નહીં.
ખંભાતથી ભાઈ ત્રિભોવનદાસની અત્ર આવવાની ઇચ્છા રહે છે; તો તે ઇચ્છામાં હું સમ્મત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તો તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય, ત્યારે તેમને આવવાની અનુકૂળતા હોય તો આવવામાં મારી સમ્મતિ છે, એમ લખશો.
તમે કોઈ મને મળવા આવ્યા છો, એ કારણ ખીમજી સહિતને મોઢે પ્રગટ ન કરવું. કોઈ અહીં આવવાનું વ્યાવહારિક નિમિત્ત હોય તો જરૂર તે ખીમજીને મોઢે પ્રગટ કરવું.
આ બધું લખવું પડે છે, તેનો ઉદ્દેશ માત્ર આ એક પ્રવૃત્તિયોગ છે. ઈશ્વરેચ્છા બળવાન છે, અને સુખદાયક છે. આ પત્ર વારંવાર મનન કરવા જેવું છે.
વારંવાર ઊગે છે કે અબંધ, બંધનયુક્ત હોય ? તમે શું ધારો છો ?
વિ0 રાયચંદના પ્રણામ.