________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૯૧
અમારી દશા મંદ જોગ્યને હાલ લાભ કરે તેવી નથી. અમે એવી જંજાળ હાલ ઇચ્છતા નથી; રાખી નથી; અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણે નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે; તેમનાથી અથવા પ્રાણીમાત્રથી, મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી, અને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળાં પુસ્તકો ક્વચિત્ ક્વચિત્ વાંચીએ છીએ; પણ જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ.
અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી; તેમ જ પૂરા ખુલાસાથી પણ લખતા નથી, તે જોકે યોગ્ય તો નથી; પણ હરિની એમ ઇચ્છા છે, જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે, ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે.
અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. તે સંગ ઇચ્છીએ છીએ, પણ જેવા જોગ થવો જોઈએ, તેવા જોગે થવો દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઇચ્છા રાખી છે, તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે; પણ તે સમાગમમાં જે જોગ ઇચ્છીએ છીએ તે જો થવા દેવા હરિની ઇચ્છા હોય અને સમાગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ.
દશાનું ટૂંકું વર્ણન વાંચીને, આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું.
પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી; કોઈ વિષે દોષબુદ્ધિ આવતી નથી; મુનિ વિષે અમને કોઈ હલકો વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. ‘સિદ્ધાંતજ્ઞાન' સાથે જોઈએ, એ ‘સિદ્ધાંતજ્ઞાન' અમારા હૃદયને વિષે આવરિતરૂપે પડ્યું છે. હરિઇચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ.
܀܀܀܀܀
૨૫૬
“અથાગ પ્રેમે તમને નમસ્કાર"
મુંબઈ, અસાડ વદ ૨, ૧૯૪૭
બે પત્ર વિસ્તારથી લખેલાં એવાં આપના તરફથી મળ્યાં; આટલો પરિશ્રમ લો છો, એ અમારા ઉપરની આપની કૃપા છે.
એમાં જે જે પ્રશ્નોનો ઉત્તર ઇચ્છયો છે, તે સમાગમે જરૂર આપશું. જીવના વધવા-ઘટવા વિષયે, એક આત્મ વિષયે, અનંત આત્મા વિષયે, મોક્ષ વિષયે, મોક્ષના અનંત સુખ વિષયે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે; પણ તે માત્ર તમને જણાવવા માટે; બીજા માટે પ્રેરણા કરી નથી.
܀܀܀܀܀
૨૫૭
મુંબઈ, અષાડ વદ ૪, ૧૯૪૭
અત્રે ઈશ્વરકૃપાથી આનંદ છે. આપનું પત્ર ઇચ્છું છું.
ઘણુંય લખવું સૂઝે છે, પણ લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ-સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મુઝાવાથી સૂઝે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું, એમ લાગી જવાથી, કોઈ ન મળતાં આપને લખવા ઇચ્છા થાય છે, પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે