________________
૧૧૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદ્ગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે ?
મનુષ્ય સદ્ધર્મતત્ત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે; જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણી વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ.
પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ છે ધર્મતત્ત્વ પામવાનાં સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે.
શિક્ષાપાઠ ૮૨. તત્ત્વાવબોધ-ભાગ ૧
દશવૈકાર્તિકસૂત્રમાં કથન છે કે ણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે ? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા, અનાત્માનાં સ્વરૂપને જાણો, એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે.
આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અનેક મતોમાં એ બે તત્ત્વો વિષે વિચારો દર્શાવ્યા છે તે યથાર્થ નથી, મહા પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવ તત્ત્વને વિવેકબુદ્ધિથી જે જ્ઞેય કરે છે, તે સત્પુરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે.
સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપયોગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવ તત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યકૃત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવ તત્ત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી દૃષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્જલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહદભાગી છે.
એ નવ તત્ત્વનાં નામ આગળના શિક્ષાપાઠમાં હું કહી ગયો છું; એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથોથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્યવિરચિત ગ્રંથો છે. એ ગુરુગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપા અને પ્રમાણભેદ નવતત્ત્વનાં જ્ઞાનમાં અવશ્યના છે; અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંતોએ આપી છે.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૮૩. તત્ત્વાવબોધ-ભાગ ૨
સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેનો ઉપદેશ ભવ્ય લોકોને કર્યો. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને લોકાલોકનાં સ્વરૂપ વિષેના અનંત ભેદ જાણ્યા હતા, પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી