________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૨૧
આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું ? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે.
પત્ર મળ્યું.
܀܀܀܀܀
૧૨૭
વવાણિયા, પ્રથમ ભાદરવા સુદ ૪, ૧૯૪૬
નમ્રતાથી વિનયી, આખા વર્ષમાં થયેલો તમારા પ્રત્યેનો મારો અપરાધ મન, વચન, કાયાના પ્રશસ્ત યોગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે.
આજના પત્રમાં, મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યકૃર્દષ્ટિથી જોતાં જણાયું; એ વાત રુચી. તથાપિ કલ્યાણ અર્થે એ દૃષ્ટિ ઉપયોગી છે. સમુદાયના કલ્યાણ અર્થે જોતાં બે પર્યુષણ દુઃખદાયક છે. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ.
વિશ્વ રાયચંદના યથા
૧૨૮
વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ ૬, ૧૯૪૬
ધર્મેચ્છક ભાઈઓ,
પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું.
અંતની સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દેઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દૃઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે. અર્થાત