________________
૮૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૭. વિકથાદોષ- ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે “વિકથાદોષ'.
૮. હાસ્યદોષ- સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે ‘હાસ્યદોષ'.
૯. અશુદ્ધદોષ- સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદોષ”.
૧૦. મુણમુણદોષ- ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બોલે, જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે ‘મુણમુણદોષ’.
એ વચનના દશ દોષ કહ્યા; હવે કાયાના બાર દોષ કહું છું.
૧. અયોગ્યઆસનદોષ- સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્વાદિકનું અવિનયરૂપ આસન, માટે એ પહેલો અયોગ્યઆસનદોષ.
૨. ચલાસનદોષ- ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે 'ચલાસનદોષ,
૩. ચલદૃષ્ટિદોષ- કાયોત્સર્ગમાં આંખો ચંચળ રાખે એ ‘ચલદૃષ્ટિદોષ'.
૪. સાવદ્યક્રિયાદોષ- સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવધક્રિયાદોષ',
૫. આલંબનદોષ- ભીંતાદિ કે ઓડીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય અને પોતાને પ્રમાદ થાય. તે ‘આલંબનદોષ’.
૬. આકુંચનપ્રસારણદોષ- હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે 'આકુંચનપ્રસારણદોષ'.
૭. આલસદોષ- અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે ‘આલસદોષ’.
૮. મોટનદોષ- આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે ‘મોટનદોષ’.
૯. મલદોષ- ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ’.
૧૦. વિમાસણદોષ- ગળામાં હાથ નાખી બેસે ઇ0 તે ‘વિમાસણદોષ'.
૧૧. નિદ્રાદોષ- સામાયિકમાં ઊંઘ આવવી તે ‘નિદ્રાદોષ’.
૧૨. વસ્ત્રસંકોચનદોષ- સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે ‘વસ્ત્રસંકોચનદોષ. એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા.
શિક્ષાપાઠ ૩૯. સામાયિકવિચાર-ભાગ ૩
એકાગ્રતા અને સાવધાની વિના એ બત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જઘન્ય પ્રમાણ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કેટલાકનો એ બે ઘડીનો કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે, સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ ક્યાંથી ? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તો વખત જવો સુગમ પડે છે. જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તોપણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે, આથી સામાયિક બહુ દોષિત થાય છે.
વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે, અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે