________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
કલશામૃત ભાગ-૩ ઉત્તર:- પક્ષની વાત છે. પક્ષ એટલે શુદ્ધ ચિદાનંદ ભગવાન પરમાત્મ સ્વરૂપ તે કોઈ પર્યાયનું કારણ નહીં અને તે પર્યાય કોઈનું કાર્ય નહીં તેવો વિકલ્પ ઊઠાવવો તે પક્ષ છે.
હું કોઈનો હેતુ નથી. હેતુ છે તે વ્યવહારનયનો પક્ષ છે તેનો તો નિષેધ કરતા આવ્યા છીએ. હું રાગનો વ્યવહારનો હેતુ નથી એવો પણ વિકલ્પનો પક્ષ છે. તે પણ પક્ષ છે, જ્યારે ભગવાન આત્મા પક્ષીતિક્રાંત છે. એ પક્ષમાં જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, આસ્રવ છે, દુઃખ છે, ઝેર છે. તેને કારણે આત્મામાં ધર્મની પર્યાય ઉત્પન્ન થાય છે તેમ નથી. સૂક્ષ્મ વાત છે બાપુ! લોકોને ક્યાં ગરજ પડી છે.
અરે! હું ક્યાં જઈશ! દેહ તો આંખ મીંચે તેમ છૂટી જશે બાપુ! દેહના પરમાણુ આકાશના એક ક્ષેત્રે આવ્યા. પોતાના ક્ષેત્રમાં શરીરનું ક્ષેત્ર નહીં અને શરીરના ક્ષેત્રમાં પોતાનું ક્ષેત્ર નહીં. આકાશના એક ક્ષેત્રની અપેક્ષાએ આ શરીર ને આત્મા એક એમ ક્ષેત્ર કહેવામાં આવે છે. આકાશના પ્રદેશમાં શરીરનું ક્ષેત્ર છે તેમ પણ નથી. આત્માનું ક્ષેત્ર આકાશના પ્રદેશમાં છે એમ પણ નથી. ભગવાન સ્વતંત્ર નિરાલંબી છે, પરનું જેને આલંબન નથી. સમવસરણની સ્તુતિ પંડિતજીએ બનાવી છે તેમાં આવ્યું છે ને “જેવું નિરાલંબી આત્મદ્રવ્ય તેવો નિરાલંબન જિન દેહ.” જેવો આત્મા નિરાલંબન છે તેમ જ સર્વજ્ઞ ભગવાનનું શરીર અંતરીક્ષમાં નિરાલંબન રહે છે. ભગવાનનું શરીર છે તે પરમ ઔદારિક છે તે જમીનથી પાંચ હજાર ધનુષ ઊંચે છે. ત્યાં સિંહાસન ઉપર કમળ અને કમળ ઉપર શરીર નથી. શરીર તો તેનાથી ભિન્ન અંતરીક્ષમાં છે. પાર્શ્વનાથ અંતરીક્ષમાં આ તકરાર હતી ને? અંતરીક્ષને કોણ માને છે? અંતરીક્ષ દિગમ્બરમાં જ છે, બીજામાં છે જ નહીં. શ્વેતામ્બરમાં તો આ અંતરીક્ષપણું છે જ નહીં. એ તો નીચે પ્રત્યક્ષ શીલા ઉપર ઉતારે છે તેવો તો તેનામાં પાઠ છે.
અહીં તો ભગવાનને જ્યાં સર્વજ્ઞપદ પ્રાપ્ત થયું તો પાંચ હજાર ધનુષ ઊંચે શરીર છે. ત્યાં નીચે સિંહાસન અને કમળ (કમળાસન) છે તેનાથી પણ ઉપર શરીર છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકીનાથના શરીરને પણ નીચે આલંબન નથી. આહાહા ! તેને પરમાત્મા સર્વજ્ઞ કહે છે. શરીરને આલંબન નથી તો પછી આત્માને આલંબન ક્યાં રહ્યું? અદ્ધર આમ રહ્યો. ભગવાન આત્મા તો રાગના આલંબન વિનાની ચીજ છે. અરે! એક ભાવ પણ યથાર્થ બેસે તો બધા ભાવ યથાર્થ બેસે. જ્યાં એક ભાવને (યથાર્થ) સમજવાનું ઠેકાણું નથી તો (બીજી શું વાત કરવી) ?
અહીંયા કહે છે કે- જીવ હેતુ છે તેવો એક નયનો પક્ષ છે. જીવ હેતુ નથી તેવો બીજી નયનો પક્ષ છે. પક્ષની વાત ચાલે છે તેનો પણ અહીંયા નિષેધ કરવાનો છે. આહાહા ! તો પછી વ્યવહારથી નિશ્ચય થાય છે એ વાત તો ક્યાંય ચાલી ગઈ. હું બીજાનું કારણ નહીં અને મારું કારણ પરમાં નહીં તેવા પક્ષમાંથી વિકલ્પને ઊઠાવી લેવાનો છે. જ્યાં સુધી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com