________________
ગુણસંબંધ નવકાર
(શ્રીનવકારનો સંબંધી પોતાની જાતને રાગ-દ્વેષના સંબંધી તરીકે ઓળખાવતાં ખૂબ જ દુઃખ અનુભવે. તેને તો સંબંધ ગમે કૃતજ્ઞતા અને પરોપકારગુણનો. એ મહાન ગુણો સાથેનો પવિત્ર સંબંધ દઢ બનાવવા સંબંધી હૃદયસ્પર્શી વિવેચન આ લેખમાં કરવામાં આવ્યું છે. સં.)
કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર કૃતજ્ઞતા વિનાનો પરોપકાર એ અહંકાર છે અને પરોપકાર વિનાની કૃતજ્ઞતા એ માયાચાર છે. પરોપકારને નિરહંકાર બનાવવા માટે કૃતજ્ઞતાભાવની જરૂર છે. કૃતજ્ઞતા ગુણને કેવળ શિષ્ટાચારરૂપ ન બનાવવા માટે અથવા મિથ્યાચારરૂપ બનતાં અટકાવી લેવા માટે પરોપકારગુણની આવશ્યકતા છે. પરોપકારથી કૃતજ્ઞતા ચરિતાર્થ થાય છે અને કૃતજ્ઞતાથી પરોપકાર ધર્મરૂપ બને છે.
તુગંત્રિભુવનતિહાય નાથ !' ત્રણ ભુવનના જીવોની પીડાને હરનારા હે નાથ ! તમને નમસ્કાર થાઓ. એ સ્તુતિ પ્રભુની તો જ સાર્થક થાય કે પ્રભુના ધર્મ વડે ત્રણ ભુવનના જીવોની પીડા ઓછી થતી હોય. જો પ્રભુના સેવેલા કે ઉપદેશેલા ધર્મથી અન્ય જીવોની પીડા દૂર થાય તો તે જ ધર્મનું સેવન કરનાર બીજાઓના ધર્મથી પણ એ કાર્ય થવું જોઈએ. કેમ કે ધર્મપણું સરખુ છે. આપણા ધર્મથી યોગ્યતા મુજબ સાક્ષાત્ કે પરંપરાએ ત્રણે લોકના જીવોને સુખ થાય છે અને ત્રણ લોકના જીવોનાં દુઃખોનો ઘટાડો થાય છે. એવી સમજણ ઉગે તો ધર્મ કરતી વખતે કરનારમાં અનેરું બળ પ્રગટે.
પોતાના ધર્મથી પોતાને જ લાભ અને બીજાને કાંઈ નહિ, એ વિચાર જીવને કૃતજ્ઞતા ગુણ અને પરોપકારગુણ, એ બે ગુણથી વંચિત બનાવે છે. બીજાના ધર્મથી થયેલા પોતા ઉપરના ઉપકારનો તેમાં અપલોપ થાય છે અને બીજા ઉપર ઉપકાર કરવાના પોતાના પરિણામનો અભાવ થાય છે. બધાના ઉપકાર લેવાનું રહે છે, કરવાનું રહેતું નથી, તેથી એકલી સ્વાર્થવૃત્તિ દઢ થાય છે અને સ્વાર્થ વૃત્તિ જ બધા પાપોનું મૂળ છે.
- કૃતજ્ઞના ગુણથી સહજમળનો હ્રાસ થાય છે. પરોપકારગુણથી તથાભવ્યત્વ પરિપાક થાય છે. સહજમળના કારણે જીવ કર્મના સંબંધમાં આવે છે અને કર્મનો સંબંધ તેને વિષયોન્મુખ બનાવે છે. વિષયોમુખતા એ સ્વાર્થવૃત્તિનું બીજું નામ છે. તથાભવ્યત્વનો પરિપાક જીવને ધર્મની સાથે સંબંધ કરાવે છે. ધર્મનો સંબંધ સમત્વભાવને વધારે છે, સમત્વભાવની વૃદ્ધિ એ પરોપકારવૃત્તિને ઉત્તેજીત કરે છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૯૧