________________
પ્રતિષ્ઠાનું હાર્દ
(આ લેખ, શ્રીજિનબિંબની પ્રતિષ્ઠાના મૌલિક તેમ જ કલ્યાણકર રહસ્યને સરસ રીતે સ્પષ્ટ કરે છે. સં.)
વિધિપૂર્વક બનાવેલા શ્રીજિનભવનમાં વિધિસહિત નિર્મિત શ્રીજિનબિંબની પ્રતિષ્ઠા કરવાની હોય છે. શ્રીજિનબિંબમાં પ્રતિષ્ઠા કોની કરવી, એ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો છે અને એ પ્રશ્નના ઉત્તરમાં પ્રતિષ્ઠાનું મહાન રહસ્ય રહેલું છે જેને પ્રત્યેક ઉપાસકે અવશ્યમેવ જાણવું જોઈએ.
મુક્તિમાં રહેલા શ્રીઋષભાદિ ભગવંતની બિંબમાં પ્રતિષ્ઠા અસંભવિત છે, કારણ કે મંત્રાદિ વડે તેમનું બિંબમાં આનયન શક્ય નથી. જો તેમનું બિંબમાં આનયન શક્ય હોય તો તેમનું મુક્તત્વ જ ન રહે. સંસારસ્થ એવા ઇન્દ્રાદિ દેવતાની પણ અહીં પ્રતિષ્ઠા નથી, કારણ કે મંત્રાદિ વડે તે બિંબમાં આવે જ, એવો નિયમ નથી, તો પછી પ્રતિષ્ઠા કોની ?
પ્રતિષ્ઠા કરાવનારના ભાવની પ્રતિષ્ઠા શ્રીજિનબિંબમાં ક૨વાની હોય છે, તે સિવાયની અન્ય કોઈ પણ વસ્તુની તેમાં પ્રતિષ્ઠા હોતી નથી. આ પ્રતિષ્ઠા આગમોક્ત વિધિમુજબ કરવાની હોય છે. એ વિધિમાં ‘ૐ નમ: ૠષમાય' વગેરે મંત્રોનો બિંબમાં ન્યાસ કરવાનો હોય છે, તે પૂર્વે પ્રતિષ્ઠા કરાવનારને શ્રીસિદ્ધ પરમાત્માનું સ્મરણ કરવાનું હોય છે. ‘સર્વ ગુણો વડે તે (શ્રીઋષભાદિ પરમાત્મા) જ હું છું,' એવો ભાવ તે વખતે પ્રતિષ્ઠાપકના મનમાં ઉત્પન્ન થવો જોઈએ. પ્રતિષ્ઠાપકના મનમાં ઉત્પન્ન થયેલો આ ભાવ તે તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. આ તાત્ત્વિક પ્રતિષ્ઠા બાહ્ય જિનબિંબમાં નહીં, કિન્તુ મનમાં-આત્મામાં કરવાની હોય છે. પછી પ્રતિષ્ઠાપકના હૃદયમાં જાગેલા એ ભાવને બાહ્ય જિનબિંબમાં સ્થાપવામાં આવે છે એ બાહ્ય પ્રતિષ્ઠા છે. તેથી દર્શન કરવા આવનારને એવો ખ્યાલ આવે છે કે આ મૂર્તિ આગમોક્ત રીતે’પ્રતિષ્ઠિત છે.’ આવા ખ્યાલથી દર્શન કરનારના મનમાં આ (મૂર્તિ) તે (ઋષભાદિ પરમાત્મા) છે,’એવો ભાવ ઉત્પન્ન થાય છે. એ રીતે તેને પણ ભગવંતનું સ્મરણ થાય છે. આ સ્મરણના અચિંત્ય પ્રભાવથી અંતે ‘તે (પરમાત્મા) જ હું છું,' એવા ભાવરૂપ તાત્ત્વિક પ્રતિષ્ઠા વિચક્ષણ એવા દર્શન કરનારના આત્મામાં પણ થાય છે.
‘આ મૂર્તિ આગમોક્ત રીતે પ્રતિષ્ઠિત છે,' એવા વિચારમાં પ્રધાનતા આગમવચનની છે. એથી પ્રતિષ્ઠાવિધિને વચનાનુષ્ઠાન કહેવાય છે. એ વચનની સાથે શ્રીજિનેન્દ્ર પરમાત્માનો સંબંધ છે, કારણ કે એ વચન એમનું છે. તેથી વચનને અનુસરવાથી—હૃદયમાં ધારણ કરવાથી તત્ત્વથી હૃદયમાં પરમાત્માનું જ ધારણ થાય છે, સ્મરણ થાય છેઃ આવું સ્મરણ કર્મરૂપ ઇંધનને ભસ્મસાત્ કરવા માટે પ્રબળ દાવાનળતુલ્ય છે.
૩૫૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા