________________
સામાયિક ધર્મનું વિજ્ઞાન સામાયિક ધર્મ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે, કારણ કે જીવનની સર્વોત્કૃષ્ટ સ્થિતિ, શુદ્ધ આત્મતત્ત્વ પ્રગટાવવામાં તે અચૂક સહાયક છે.
સામાયિક ધર્મની આરાધના સર્વ જીવો પ્રત્યેના સદ્ભાવ વડે જ શરૂ થઈ શકશે.
મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થની ચાર ભાવનાઓથી હૈયાને ઓતપ્રોત કર્યા વિના જડ અને જીવ પ્રત્યેના સમત્વની માત્ર વાતો વ્યર્થ છે.
- શ્રેષ્ઠ મંગળનું મૂળ જીવરાશિ પ્રત્યેની મૈત્રી છે. પાપનું મૂળ પુદ્ગલરાશિ પ્રત્યેની આસક્તિ છે.
પુદ્ગલરાશિ પ્રત્યેની આસક્તિ દૂર કરવાની છે અને સમસ્ત જીવરાશિ પ્રત્યે મૈત્રી ધરવાની છે. પુદ્ગલ ઉપરનો રાગ દૂર કરીને, જીવમાત્રના જીવત્વ ઉપર, જ્ઞાનાદિ ગુણો ઉપર રાગ કરવાનો છે.
મોક્ષમાર્ગની સાધનામાં જીવની મૈત્રી અને જડની વિરક્તિ બંને અગત્યના છે. સંસાર તરફ જતી ચિત્તવૃત્તિને રોકવા માટે અને મોક્ષના મહામાર્ગ ઉપર લઈ જવા માટે મૈત્રીનો અભ્યાસ અને જડનો વૈરાગ્ય બંને જોઈએ.
જીવની મૈત્રીવિહોણી માત્ર જડની વિરક્તિમાં મોક્ષ સુધી પહોંચાડનારું બળ નહિ પ્રગટે.
જડની વિરક્તિ વિનાની માત્ર જીવની મૈત્રીની વાતો સંસારભ્રમણથી મુક્ત નહિ થવા દે.
સંસારથી મુક્ત થવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે બંને અગત્યના છે.
સામાયિક એ જીવથી મૈત્રી અને જડથી વિરક્તિ માટેની સાધના છે. સામાયિક એ જીવનમાં જીવવાનો અભ્યાસ છે. સામાયિક એ આત્માને કર્મોથી મુક્ત કરવાની પ્રક્રિયા છે. સામાયિક એ આત્મસ્વરૂપનું પ્રાગટ્ય છે. સામાયિક એ આત્મા છે. સાધનાનું પરમ રહસ્યભૂત તત્ત્વ
વિષયોની આસક્તિ એ કષાયની જડ છે. પરમેષ્ઠિઓની ભક્તિ એ મૈત્રીનું મૂળ છે.
વિષયો સ્વયં જડ, અચેતન અને ભાવથી વિહીન છે. પરમેષ્ઠિઓ સર્વ શ્રેષ્ઠ ભાવોથી ભરેલા છે. પરમેષ્ઠિઓ પરમપદે બિરાજમાન છે. તેમાં કારણ તેઓનો જીવમાત્ર પ્રત્યે, જીવમાં રહેલા જીવત્વ પ્રત્યે, જ્ઞાનાદિ ગુણો પ્રત્યે પ્રગટેલો પ્રેમ છે.
ચૈતન્યનો પ્રેમ એ મંગળનું મૂળ છે, જડનો પ્રેમ એ પાપનું મૂળ છે.
૪૧૪ • ધર્મ અનુપ્રેક્ષા