________________
પ્રત્યેક ભવ્ય આત્માની જીવનયાત્રા આ પૂર્ણતા તરફનું પ્રયાણ છે.એ પૂર્ણ છે અને વધારે પૂર્ણને પામવા ઝંખે છે.
પ્રત્યેક જળ બિંદુ સપ્રમાણ પૂર્ણ છે. એવાં અનંત પૂર્ણ જળ બિંદુઓ સરિતામાં છે. સરિતા એટલે અનંત પૂર્ણતાનો સ્રોત. આ સરિતાને પણ પૂર્ણતાની એક સ્વપ્ન ઝંખના છે અને તે સાગર.
તેમ પ્રત્યેક ચેતનમાં આ પૂર્ણતા છે. પૂર્ણતાની આ ઝંખનાએ એને વૃક્ષબીજમાંથી માનવની ભૂમિકાએ પહોંચાડ્યો છે અને આ જ ઝંખના માનવમાં રહેલ ચેતનાને પૂર્ણ પરમાત્માની પરમ ભૂમિકાએ પહોંચાડશે.
સાધનાનો ક્રમ
વાસનાને સુધારવી તે પ્રથમ ધ્યેય છે અને વાસનાથી મુક્ત થવું તે અંતિમ
ધ્યેય છે.
દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આદિમાં બેઠેલી મારાપણાની બુદ્ધિ છૂટી જવી તે વાસના મુક્તિ છે અને બધાના દેહ-ઇન્દ્રિયાદી એ મારા છે, એ વિચાર વાસનાનું રૂપાંતર છે.
પહેલા બધાના દેહાદિમાં મારાપણાની બુદ્ધિ અને પછી મારા દેહાદિમાં પણ પરાયાપણાની બુદ્ધિ એ સાધનાનો ક્રમ છે.
ચૌદ પૂર્વનો સાર
ચૌદ પૂર્વ અને દ્વાદશાંગીમાંથી આપણને જે પ્રકાશ મળે છે, તે એ છે કે આત્મદૃષ્ટિએ કોઈ જીવ આપણાથી ઉતરતો નથી અને દેહ દૃષ્ટિએ કોઈ જીવ આપણા કરતા ચઢિયાતો નથી.
કર્મ મુક્ત જીવની અવસ્થા સર્વની સુખદાયક છે. કર્મબદ્ધ અવસ્થા સૌની કષ્ટદાયક છે.
એમ સર્વ જીવો સાથે પોતાની તુલનાની ભાવના વડે જન્મ પામતું સમત્વ એ જ મોક્ષનું અસાધારણ કારણ છે.
મદ આઠ, કષાય ચાર, દંડ ત્રણ અને ઇન્દ્રિયો પાંચ, જીવને મોક્ષ માર્ગમાં વિઘ્નભૂત છે, તેને ધર્મમાર્ગ વડે જીતવા બે પરમ પુરુષાર્થ છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૭૧