________________
એનો અર્થ એ નથી થતો કે દીન દુઃખીયાને દાન નહિ આપતાં કેવળ સંતસાધુઓને જ આપવું. સંતસાધુઓને દાન કરતાં પણ જગતના સર્વ દુઃખી જીવોને એનો લાભ મળશે એ ભાવના રાખવી અને પોતાની શક્તિને અનુસારે દીન-દુઃખીલાચાર વગેરે મનુષ્યોને કે અનાથ પશુ-પક્ષી આદિ જીવોને પણ દાન કરવું.
સુમન કોઈ દર્દથી પીડાતું બાળક રડે છે અને રુદન દ્વારા પોતાની અવ્યક્ત વેદનાને જાહેર કરવા પ્રયત્ન કરે છે, ત્યારે તેના દર્દને નહિ સમજતી માતા પ્રથમ તો તેને સ્તનપાન કરાવીને કે રમકડાં આપીને રડતો અટકાવવાના પ્રયત્નો કરે છે, પણ
જ્યારે દર્દથી પીડાતું બાળક સ્તનપાન કે રમકડાંની પણ અવગણના કરીને રડ્યા જ કરે છે, ત્યારે કોઈ રોગાદિનું અનુમાન કરીને વૈદ્ય-ડૉક્ટરની સલાહ લેવા દોડે છે અને રોગ થયો છે એમ સમજે છે ત્યારે તે શાણા-નિષ્ણાત વૈદ્ય-ડૉક્ટરને ધન આપીને તેના દ્વારા બાળકને સાજો કરવાના પ્રયત્નો કરે છે.
એ રીતે સુમન ! પ્રાથમિક કક્ષાની દયામાં મનુષ્ય દીન-દુઃખી વગેરેને અન્નજળ વગેરે જીવનસામગ્રીનું દાન કરવામાં ઇતિકર્તવ્યતા સમજે છે, એને જ શ્રેષ્ઠધર્મ માને છે અને દીન-દુઃખી વગેરેને અન્ન-જળ વગેરેનું દાન કરી પોતાને કૃતકૃત્ય માની લે છે. એટલું જ નહિ, એની દૃષ્ટિએ શિષ્ટાચાર કે શિષ્ટાચારના પાલક–પ્રચારકોની સેવા કિંમત વિનાની દેખાય છે અને તેથી તેના પ્રત્યે કદાચ તે અણગમો પણ કરી નાખે છે. .
પણ સુમન ! તે તેની અધૂરી સમજનું પરિણામ છે. એક દાંતનો ડૉક્ટર દાંતના રોગીની સેવા કરવામાં દાંતને અંગે ખૂટતાં કે સડતાં તત્ત્વોનો વિચાર કરી તેટલા જ પ્રયત્નો કરશે, પણ આયુર્વેદના નિષ્ણાતને તેથી સંતોષ નહિ થાય, તે તો દાંતના રોગના મૂળ કારણ સુધી પહોંચી તેના પેટને અને હોજરીને તપાસશે, તેમાં ખૂટતાં કે બગડતાં તત્ત્વોને પૂર્ણ કરવા કે સુધારવા પ્રયત્ન કરશે અને એ રીતે દાંતના રોગને મૂળમાંથી નાશ કરવા પ્રયત્નો કરશે.
એ રીતે સુમન ! તાત્ત્વિક દયાને સમજનારો જ્ઞાની દીન-દુઃખીયાઓની અશરણ, અનાથ અને લાચાર દશાને જોઈ તેના મૂળ કારણો સુધી પહોંચે છે. પૂર્વે તેણે સેવેલા “અસદાચારો અને કરેલાં પાપોનું આ પરિણામ છે' એમ સમજે છે. તે પછી અન્નજળ વગેરે આપીને અટકતો નથી. તેના અસદાચારોને દૂર કરવા ઇચ્છે છે, અન્નાદિ આપતાં પણ તેનાં પાપોથી–અસદાચારોથી બચાવવાનો ઉદ્દેશ રાખે છે અને એ ઉદ્દેશથી તે સદાચારના પિતા શ્રીઅરિહંતદેવો તથા તેના પાલક અને પ્રચારક સંત-સાધુઓની
૧૪૮ • ધર્મ અનુપ્રેક્ષા