________________
સિદ્ધ કરેલ વસ્તુ જો અન્યને શીઘ્રતઃ સિદ્ધ થાય તો તે સિદ્ધિ અને વિનિયોગ બંને ઉત્કૃષ્ટ સમજવા. વિનિયોગથી સાધનાની આગળની ભૂમિકાઓ આ જન્મમાં તેમ જ ભવાંતરમાં પ્રાપ્ત થાય છે.
શ્રીતીર્થંકર ભગવંતોની સમીપમાં આવતા જન્મજાત ક્રૂર પ્રાણીઓના પણ પરસ્પર પ્રત્યેના વિરોધો શમી જાય છે, તે ઉત્કૃષ્ટ સિદ્ધિ સમજવી, અથવા શ્રીતીર્થંકર ભગવંતોને પામીને અનેક આત્માઓ વીતરાગ બને છે, તે પણ તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ અને વિનિયોગ છે.
આ પાંચે પ્રકારના આશયો લૌકિક કાર્યોમાં પણ દેખાય છે. કુંભાર જ્યારે ચાકડા ઉપર ઘડો બનાવવા બેસે છે, ત્યારે તેને ‘ઘટ’રૂપ કાર્યનું પ્રણિધાન હોય છે—સ્વ-કર્તવ્યમાં તેનું મન સ્થિતિવાળું બને છે. તેનું મન તે કર્તવ્યમાં પ્રયત્નશીલ છે, તે પ્રવૃત્તિ છે. તે આવેલાં વિઘ્નોને જીતે છે, ઘટનું ઉત્પાદન તે સિદ્ધિ છે. તે ઘડાનો ઉપયોગ, પોતાના કુટુંબીઓને તે કળાનું શિક્ષણ, વગેરે વિનિયોગ સમજવો. અનાદિકાલીન વાસનાઓનાં કારણે જીવનું મન સાંસારિક કાર્યોમાં પ્રણિધાનવાળું અનાયાસે બની જાય છે. જ્યારે ધાર્મિક કાર્યોમાં તો એ દિશામાં વિશિષ્ટ પ્રયત્નો પછી જ વિકાસ થાય છે. આપણા પ્રત્યે અનુષ્ઠાનને એ આશયપંચકરૂપ ભાવથી યુક્ત બનાવવું જોઈએ.
આ પાંચે પ્રકારના આશયો શુભભાવરૂપ છે. પ્રત્યેક શુભભાવ શ્રીજિનેશ્વર ભગવંતના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. તેમની ભક્તિમાં પરાયણ એવા આત્મા તેમના અનુગ્રહને ઉત્તરોત્તર સારી રીતે પ્રાપ્ત કરે છે. તેથી તેની આગળ આગળની ભૂમિકાને યોગ્ય એવા ભાવોની પ્રાપ્તિ સહજ બને છે.
શ્રીજિનેશ્વર ભગવંતોએ સંસારને તરવા માટેના અસંખ્ય યોગો-ઉપાયો બતાવ્યા છે.. તેમાંથી જીવ પોતાને યોગ્ય યોગો પસંદ કરે છે. તેમાંથી એકાદ યોગમાં મનની સ્થિતિ વગેરે તે પ્રણિધાનાદિ છે. પ્રણિધાનાદિ વિના સાધનામાં વિકાસ થતો નથી.
ઉપર જે પાંચ પ્રકારના આશયોનું વર્ણન કર્યું, તે વર્ણન અત્યંત સામાન્ય છે. તત્ત્વજ્ઞ પુરુષોએ એ પાંચ આશયોને સૂક્ષ્મબુદ્ધિથી વિશેષપણે વિચારીને પોતાના હૃદયમાં તેમનું રહસ્ય સ્પષ્ટ કરવું જોઈએ, કારણ કે એ પાંચ આશયો તે જ ભાવ છે. તે વિનાની મન-વચન-કાયાની ચેષ્ટા તે દ્રવ્યક્રિયા છે.
१. आशय भेदा एते सर्वेऽपि तत्त्वतोऽवगन्तव्याः ।
भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा !
શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ‘ષોડશક પ્રકરણ’ શ્લો. ૩ : આર્યા ૧૨
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૩