________________
ઉચિત નથી. જીવ માત્ર શિષ્ટાચારની ભૂમિકાને પામે, શિષ્ટાચારને પાળે અને સુખી થાય, એ ભાવનાપૂર્વક શિષ્ટાચારનું પાલન અને તેનું દાન પણ કરવું જ જોઈએ. * છતાં સુમન ! જે પોતાની જ ચિંતામાં ડૂબેલો છે, પરને સુખ આપવા જેટલી કે બીજાને સુખી જોઈ પ્રસન્ન થવા જેટલી વિશાળ દૃષ્ટિ જેની ઉઘડી નથી, માત્ર પોતાનાં જ સુખ માટે પ્રયત્નો કરે છે, તે સ્વાર્થપરાયણ જીવને પણ બીજાને સુખ આપ્યા વિના છૂટકો જ નથી. સુખ એક એવો ભાવ છે કે બીજાને આપવાથી જ તે આપણને મળે છે. ઘરમાં બીજા દુઃખી હોય, તો પોતે ભલે નીરોગી હોય, બુદ્ધિમાન હોય, રળતો કમાતો હોય, પણ સુખ ભોગવી શકતો નથી. બીજાના દુઃખની અસર તેને વ્યથા કરે છે. તેમ સર્વ વિષયમાં સમજવાનું છે. દાન ધર્મની, સેવા ધર્મની, પરોપકાર વગેરેની મહત્તા આ કારણે જ છે. જો એમ ન હોત તો વિશ્વવત્સલ જિનેશ્વર ભગવંતો કદાપી એકની સંપત્તિ બીજાને આપી દેવાની, કે એક સજ્જન સુખી આત્માને બીજા દુ:ખી વગેરે જીવોની સેવા કરવાની ભલામણ ન કરત ! અગર તો એ ભલામણ ધર્મરૂપ નહિ પણ અન્યાયરૂપ મનાત.
સુમન ! જો એ રીતે છદ્મસ્થ જીવોનું સુખ પર સાપેક્ષ છે, બીજાના સુખે તેને સુખ મળે છે તો જ સુખનો અનુભવ કરી શકાય છે, તો જીવ માત્રના સુખના હેતુભૂત શિષ્ટાચારનું દાન અનિવાર્ય થઈ પડે છે.
બીજાં દાન આપણે ગમે તેટલાં કરીએ, પણ સામાને સુખી કરવા માટેનું સર્વશ્રેષ્ઠ દાન એ તો માત્ર શિષ્ટાચારનું દાન જ છે. અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ધન, દોલત, આશ્રય, આપણે કેટલું ય આપીએ, પણ તે લેનારને અલ્પકાળ માટે અમુક પ્રકારનું જ સુખ આપી શકે. સર્વ કાળ માટે સર્વ પ્રકારનું સંપૂર્ણ સુખ તો જીવ પોતે જ સદાચાર દ્વારા પ્રાપ્ત કરી શકે. અને એવું સુખ પ્રાપ્ત થયા પછી જ એની સુખની ભૂખ ભાંગી શકે. માટે તેને સદાચારનું દાન કરવું એ શાશ્વત-સંપૂર્ણ-સર્વદેશીય સુખના દાનરૂપ છે.
સુમન ! દરિદ્ર-દીન-દુ:ખી વગેરે લાચાર મનુષ્યોને કે પશુ-પક્ષી વગેરેને દાન કરીએ તેના કરતાં એ જ વસ્તુનું દાન સંત સાધુઓને કરીએ તો તેનું ફળ ધર્મશાસ્ત્રોમાં ઘણું મોટું કહ્યું છે, તેનું કારણ પણ એ છે કે સંતપુરુષોને દીધેલું દાન સદાચાર કે શિષ્ટાચારનું પોષક, વર્ધક અને પ્રચારક બને છે. એક સંતને દીધેલા દાનનું ફળ હજારો, લાખો, કે ક્રોડો અથવા અગણિત જીવોના હિત સુધી પહોંચે છે. પશુ પક્ષી કે લાચાર મનુષ્ય ને દીધેલું દાન પ્રાયઃ તેને જ અલ્પ ઉપકાર કરે છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૪૭