________________
કર્તવ્યો કરતો જીવ કૃતકૃત્ય બને છે.
સુમન ! તત્ત્વજ્ઞો કહે છે કે માતા-પિતાદિ કે દેવ-ગુર્વાદિ પૂજ્યોની સેવા કરવાથી જીવમાં સેવાવૃત્તિ પ્રગટ થાય છે અને તેથી પોતાના આશ્રિત વર્ગનું રક્ષણ કરવાની તેનામાં યોગ્યતા પ્રગટે છે. જે પૂજ્યોની સેવામાં ઉપેક્ષા કે અનાદર સેવે છે તેનામાં આશ્રિતોનું રક્ષણ કરવાની વૃત્તિ, શક્તિ, કે નિષ્ઠા કદાપી પ્રગટતાં નથી.
સુમન ! નમસ્કાર મહામંત્ર અને નમસ્કાર ભાવનું મહત્ત્વ સમજવા માટે આટલી હકીકત તને કહી છે. જૈન-અજૈન શાસ્ત્રોમાં પ્રાણને ભોગે બીજા જીવોની રક્ષા કરનારા સત્ત્વશાળી મહાત્માઓનાં જે દૃષ્ટાન્તો મળે છે, તે સત્ત્વ ખીલવવા માટે તેઓએ કરેલી પૂજ્યવર્ગની સેવાનું પરિણામ છે. શ્રીમેતાજ મુનિએ એક પક્ષીની રક્ષા માટે પ્રાણ આપ્યો, શ્રીશાન્તિનાથ પ્રભુના જીવે દશમા ભવમાં રાજા છતાં શરણે આવેલા એક પારેવાના રક્ષણ માટે કાયાનું બલિદાન કર્યું, કે મહારાજ કુમારપાળે એક મંકોડાની દયા કરતાં પોતાની ચામડી કાપી, વગેરે જે આપણે સાંભળીએ છીએ તેમાં તેઓએ કરેલી પૂજ્યોની સેવાથી પ્રગટેલા સત્ત્વનું એ ફળ હતું એમ આપણે માનવું જોઈએ.
સુમન ! સેવા અને રક્ષારૂપ આ શિષ્ટાચારો એવા છે કે તેના પાલનથી જીવમાં વિનય-સેવારૂપ નમસ્કારભાવ અને અહિંસા-રક્ષારૂપ સામાયિકધર્મ પ્રગટે છે. સેવા અને રક્ષા એવા સંકલિત છે કે એકની સિદ્ધિમાં બીજાની સિદ્ધિ થાય છે અને એકના અભાવે બીજાનો અભાવ થાય છે. તેમાંથી પ્રગટ થતો નમસ્કારભાવ અને સામાયિક ધર્મ પણ એ રીતે સંકલિત છે, પરસ્પરના બળે વૃદ્ધિ પામતા તે આત્માને શાશ્વત સુખનો ભાગી બનાવે છે.
સુમન ! એ રીતે ધર્મના મૂળમાં રહેલા શિષ્ટાચારોમાં ધર્મના ફળરૂપ મોક્ષને આપવાનું સામર્થ્ય છે. તેના પાલન વિના લૌકિક-લોકોત્તર એક પણ સુખને પામી શકાય નહિ.
સુમન ! માર્ગાનુસારિતાના ૩૫ ગુણો એ શિષ્ટાચારનું પાલન છે અને શિષ્ટાચારની પ્રશંસારૂપ તેનો બીજો પ્રકાર તે શિષ્ટાચારનું દાન છે.
સુમન ! અન્ય જીવોને શિષ્ટાચારી બનાવવાની વૃત્તિ વિનાનું કેવળ શિષ્ટાચારનું પાલન અપૂર્ણ રહે છે, યથાર્થભાવને પામતું નથી. માટે શિષ્ટાચારનું દાન કરવાનો ઉપાય તેની પ્રશંસા કરવી આવશ્યક હોવાથી અહીં તેને કહ્યો છે. એ પ્રશંસા અંગે આપણે હવે પછી વિચારીશું.
ધર્મમિત્ર, શ્રેયસ્.
૧૬૦ • ધર્મ અનુપ્રેક્ષા