________________
આર્યજીવન વ્યવસ્થા-૨
(જીવનભરના બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરવાનું જેમનું સત્ત્વ પ્રગટ્યું નથી, એવા સ્ત્રીપુરુષોને આર્યજીવનવ્યવસ્થાના અંગભૂત વિવાહવ્યવસ્થાને સ્વીકારવાથી પરિણામે શો લાભ થાય છે, તેનું મનનીય નિરુપણ આ પત્ર-લેખમાં કરવામાં આવ્યું છે. સં.)
સુમન ! માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરવાનું વિધાન છે. આ વિવાહવ્યવસ્થાના રહસ્યને જાણવાથી તને સમજાશે કે ગૃહસ્થજીવનમાં માર્ગાનુસારિતાની પ્રાપ્તિ માટે તેની કેટલી મહત્તા છે?
સુમન ! આર્યકુળોમાં પત્નીને સધર્મચારિણી અને પતિને આર્યપુત્ર તરીકે સંબોધવામાં આવે છે. પતિ અને પત્નીનાં આ વિશેષણો તને વિવાહનું તત્ત્વ સમજવા માટે ઉપયોગી થઈ પડશે..
સુમન ! “સધર્મચારિણી' એટલે પતિની સાથે અથવા પતિની સમાન ધર્મને આચરનારી સુશીલ પત્ની. એથી એ સમજવાનું છે કે પત્નીનો ધર્મ પતિની સાથે તેના સમાન ધર્મને આચરવાનો છે. એનો અર્થ એ નથી કે પતિ ગમે તેવા ખરાબ માર્ગે દોરે તો પણ પત્નીએ તેની આજ્ઞાને અનુસરવું ! કારણ કે પતિનું વિશેષણ “આર્યપુત્ર છે. આર્ય” તેને કહેવાય છે કે જે સર્વ અસદાચારોથી દૂર રહી યશાશય સ્વપરહિતકર સદાચારોને અનુસરે. એવા આર્યનો પુત્ર સર્વ અસદાચારનાં ત્યાગપૂર્વક શક્ય સદાચારનું પાલન કરનાર હોય. તેથી તેની આજ્ઞા અસદાચાર સેવવાની કદી ન હોઈ શકે. સ્ત્રીઓને પતિ એ પતિદેવ તરીકે આરાધવાનું નીતિશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રનું ફરમાન પણ આ કારણથી છે કે આર્યપતિ કદાપી પોતાની નિશ્રામાં જીવન સમર્પણ કરનાર પત્નીને અસદાચારને માર્ગે ન દોરે, કિંતુ અસદાચારથી રક્ષણ કરી સદાચારપાલનમાં સહાય કરે.
સુમન ! પુરુષરૂપે કે સ્ત્રીરૂપે પણ મનુષ્યનો જન્મ ઘણા પુણ્યના બળે મળે છે, આવું પુણ્ય ધર્મ કરવાથી બંધાય છે અને તેના ફળરૂપે મળેલા માનવભવને વિશિષ્ટ ફળદાયક બનાવવા માટે પુનઃ ધર્મ કરવો અનિવાર્ય છે.
સુમન ! એમ છતાં જ્ઞાનીઓએ આચરેલો અને ઉપદેશેલો એ ધર્મ પ્રાપ્ત કરવો સહેલો નથી. તેના નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારો છે. તેમાં નિશ્ચયધર્મ કે જે આત્મશુદ્ધિરૂપ છે, તેને માટે વ્યવહારધર્મ કે જે અપેક્ષાએ શુદ્ધિ માટેના ઔષધરૂપ છે તેને જીવનમાં જીવવો પડે છે. આ વ્યવહારધર્મમાં વિવિધ બાહ્ય આલંબનોનો આશ્રય લેવો પડે છે. તે આલંબનોમાં મનુષ્યભવ પ્રથમ નંબરે છે, તેથી તેનું મહત્ત્વ છે એથી પણ ઉત્તરોત્તર અધિક મહત્ત્વ આર્યદેશ-ઉત્તમકુળ-પંચેન્દ્રિયપાટવ વગેરેનું છે. જે દેશ, જ્ઞાતિ, કે કુળ વગેરેમાં જન્મ લેવા માત્રથી પણ વિવિધ અસત્યવૃત્તિઓથી બચી જવાય છે અને
૧૭૨ • ધર્મ અનુપ્રેક્ષા