________________
કુળાચાર, લોકાચાર તથા દેશાચારને અનુસરીને સદાચારને પાળવાની સગવડ મળે છે તે કુળ, જ્ઞાતિ, દેશ, વગેરે પણ ધર્મની સામગ્રીરૂપે ધર્મનાં આલંબનો ગણાય છે. કારણ કે ત્યાં જન્મ પામેલા જીવને ઉત્તરોત્તર સદાચારમાં-ધર્મમાર્ગમાં પ્રેરનારા સ્વજનો, સંબંધીઓ, જ્ઞાતિજનો, વૃદ્ધ પ્રજાજનો અને ધર્મગુરુઓનો યોગ મળે છે અને તેઓ દ્વારા જીવને ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થવાનું પ્રેરક બળ મળે છે.
સુમન ! આ પુણ્યપવિત્ર સહયોગથી બાલ્યકાળ સદાચારમય પસાર થવા છતાં, યૌવનવયે કામોન્માદને વશ બનતાં અનાદિ અભ્યાસથી જીવ એવો પામર બની જાય છે કે બાલ્યવયના સંસ્કારો તેમાંના કોઈકને જ બચાવી શકે છે. પ્રાયઃ સર્વ જીવો ઇન્દ્રિયોને વશ બની વિવિધ પાપોને સેવે છે. શાસ્ત્રજ્ઞો કહે છે કે નિર્દય કામ ચંડાળ પંડિતોને પણ પીડે છે. અર્થાત્ યૌવનના ઉન્માદની સામે પાંડિત્ય પણ પ્રાયઃ અકિંચિત્કર બની જાય છે. તે અવસ્થામાં સદાચારનું રક્ષણ કરવા માટે સત્ત્વશાળી પતિ અને પત્ની પરસ્પર સહાયક બની શકે છે. માટે પત્નીને સધર્મચારિણી અને પતિને આર્યપુત્ર તરીકે સંબોધવામાં આવે છે.
વળી સુમન ! આ વિવાહવ્યવસ્થાના બળે વિષયવાસનાની વૃત્તિને મર્યાદિત બનાવી શકાય છે. જેમ પરિગ્રહવિરમણ, દિશિપરિમાણ, ભોગોપભોગ વિરમણ, અનર્થદંડ વિરમણ કે દેશાવગાસિક વગેરે વ્રતો દ્વારા અમર્યાદિત પાપવૃત્તિને મર્યાદિત કરી જીવ નિરર્થક પાપવૃત્તિજન્યકર્મના નવા બંધથી બચી જાય છે, તેમ વિવાહની આ વ્યવસ્થાથી સ્ત્રી સર્વ પુરુષોની અને પુરુષ સર્વ સ્રીઓની અભિલાષાને મર્યાદિત કરી વિવાહ જેની સાથે થાય તે સ્ત્રી અને તે પુરુષ સિવાયના સઘળા અન્ય સ્ત્રી કે પુરુષોની અભિલાષાથી બચી જાય છે એમ કામવાસનાની અમર્યાદિત વૃત્તિને મર્યાદિત કરવા માટે વિવાહવ્યવસ્થા સ્વ-પર હિતકર ઉપાય છે.
સુમન ! પાપી મનોવૃત્તિને અંકુશમાં લેવી અતિ દુષ્કર છે. તે માટે નવવિધબ્રહ્મગુપ્તિનું પાલન વગેરે બીજા પણ વિવિધ ઉપાયોનું સતત સેવન કરવું આવશ્યક છે. કારણ કે અનાદિ અભ્યાસને ટાળવો અતિ દુષ્કર છે. શાસ્ત્રકારો કહે છે કે પૂર્વજન્મમાં રાગાદિપૂર્વક આચરેલી શુભાશુભ પ્રવૃત્તિનો અભ્યાસ જીવને ઉપયોગ વિના પણ કેટલાય કાળ સુધી સાથે રહે છે. ત્યાં જીવની અનંતાનંત જન્મોથી પોષાયેલી કામવાસના માટે તો કહેવું જ શું ? તે એટલી દૃઢ બની જાય છે કે અન્યભવોમાં તો તેને તોડવાનું સામર્થ્ય જીવને પ્રાપ્ત થતું જ નથી. એક જ મનુષ્યભવ અને તેમાં આર્યદેશ, કુળ, જાતિ વગેરેને પ્રાપ્ત કરીને કોઈ વિરલ આત્માઓ જ તેનો પરાભવ કરી શકે છે. સુમન ! વિવિધ રૂપોને ધારણ કરતી પાપવાસના જીવને પાપથી ભારે કરી વિવિધ દુ:ખોનું ભાજન બનાવી દે છે. વૈર-વિરોધ, તેજોદ્વેષ-ઇર્ષ્યા-અસૂયા, ક્રૂરતાધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૭૩