________________
શિષ્ટાચાર પ્રશંસા-૭
(ચિત્તશુદ્ધિપૂર્વક થતા સત્કાર્યને શિષ્ટાચારપ્રશંસા સાથે કેવો ગાઢ સંબંધ છે અને તેનાં કેવાં સુપરિણામ જીવને અનુભવવા મળે છે, તત્સંબંધી અનુમોદનીય પ્રકાશ—ચિંતનાત્મક–આ લેખ પાથરી રહ્યો છે. સં.)
સુમન ! આજે આપણે જાણે ઘણા સમય પછી મળીએ છીએ. તેમાં તારી જિજ્ઞાસા વધારવાનો ઉદ્દેશ હતો અને તે સફળ થયો છે. મયૂર મેઘની રાહ જુએ તે રીતે આપણી મુલાકાતને અન્ય જિજ્ઞાસુઓ પણ જોઈ રહ્યા છે.
સુમન ! છેલ્લી મુલાકાતને અંતે મેં તને શિષ્ટાચાર પ્રશંસાની સાથે પુણ્યાનુબંધી પુણ્યનો કેવો ઘનિષ્ઠ સંબંધ છે તે સમજવા કહ્યું હતું, તે તને યાદ હશે.
સાંભળ સુમને ! સામાન્ય રીતે તો જડ-બંધનરૂપ હોવાથી આઠેય કર્મો હેય છે. પણ તેમાં એકાંત નથી. પુણ્યકર્મ એ કર્મનો જ એક પ્રકાર છે અને છતાં શાસ્ત્રોમાં તેને ઉપાદેય પણ કહ્યું છે.
- સુમન ! લોકમાં લોખંડના કડાને બેડી કહેવાય છે, પણ સોનાનાં કડાંને અલંકાર માનવામાં આવે છે. બન્ને કડીરૂપે સામાન્ય છે છતાં એક બેડી છે, એક અલંકાર છે અને અલંકાર મનાતો હોવાથી માણસ તેને હરખે હરખે પહેરે છે. તેમ આશ્રવ (નવાં કર્મોનો બંધ) સામાન્યરૂપે હેય છે, છતાં અશુભ આશ્રવરૂપ પાપ લોખંડની બેડી તુલ્ય હોવાથી લોકને તે ગમતું નથી, તેનાથી બચવા પ્રયત્ન કરે છે. જ્યારે પુણ્ય સોનાની બેડી તુલ્ય છતાં સોનાના કડાની જેમ લોકને ગમે છે અને તેથી લોક તેનો આદર કરે છે. એમાં કારણ એ છે કે બેડરૂપ છતાં સોનાનું કડું જીવનોપયોગી બને છે, તેમ પુણ્યકર્મ જીવને જીવનસામગ્રી આપે છે, પાપથી મુક્ત કરે છે અને પોતે પણ છૂટી જાય છે. આવા પુણ્યને જ જ્ઞાનીઓએ ઉપાદેય કહ્યું છે.
સુમન ! એવા પણ દુર્જનો હોય છે કે જેઓ સજ્જનના લેબાશમાં રહી દુર્જનનું કામ કરી લોકોને ઠગે છે. તેમ એક પુણ્ય એવું પણ હોય છે કે જે દેખાવમાં પુણ્ય છતાં જીવને પાપનો પક્ષકાર બનાવી, અનેક પાપાચરણો કરાવી, તે દ્વારા અનેકવિધ પાપકર્મનો બંધ કરાવી, પોતે ખસી જાય છે અને એના વિશ્વાસે પડેલો જીવ દુઃખી થાય છે. એવા પુણ્યને જ્ઞાનીઓએ ઉપાદેય માન્યું નથી, કિંતુ તત્ત્વથી પાપ માન્યું છે.
સુમન ! મિત્રો બે પ્રકારના હોય છે, એક ઉપકાર કરી સુખસામગ્રી પ્રાપ્ત કરાવી પછી રખે, પોતાને તેનો પ્રત્યુપકાર લેવાનો પ્રસંગ આવી પડે એવા ભયથી ભાગી જાય
ધર્મ અનપેક્ષા • ૧૬૫