________________
તેઓના ગુણની–સદાચારની પ્રશંસા દ્વારા ધર્મસંપત્તિની પ્રાપ્તિ કરી શકે છે.
સુમન ! જે આત્મા કુલાદિના આલંબને સદાચારનું પાલન કરવા છતાં ગુણાનુરાગના અભાવે ગુણ—ગુણીની અનુમોદના કે પ્રશંસા વગેરે કરી શકતો નથી, તે આવું નિર્મળ પુણ્ય પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ માટે સદાચારના પાલનની સાથે શુભભાવની જરૂર રહે છે. માટે સદાચારનું પાલન કરતાં કે તેનું પાલન ન કરી શકાય ત્યારે પણ ગુણાનુરાગ કેળવવો જોઈએ અને તેના બળે ગુણગણની અનુમોદના, પ્રશંસા વગેરે કરવાં જોઈએ.
માર્ગાનુસારિતાના પ્રત્યેક ગુણમાં સુમન ! પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરાવવાની શક્તિ છે અને તેથી જ તેને પાયાનો ધર્મ કહ્યો છે. તત્ત્વથી પુણ્યાનુબંધી પુણ્યની સહાય વિના જીવનના અંતરંગ શત્રુઓનો પરાજય થતો નથી, માટે શિષ્ટાચારપ્રશંસા દ્વારા તેવા પુણ્યને પ્રાપ્ત કરવું જોઈએ. માર્ગાનુસારિતાના આ બીજા પ્રકાર અંગે તને જે કાંઈ કહ્યું છે, તેનું તું જેમ જેમ અધિક ચિંતન-મનન કરીશ, તેમ તેમ તને તેમાં રહેલું તત્ત્વ અધિકાધિક સમજાશે.
ધર્મમિત્ર, શ્રેયસુ.
જીવનના પ્રકારો જીવનવાળા જીવોના અનેક રીતે અનેક પ્રકારો પડે છે–પાડવામાં આવે છે. તેમાં આ પણ એક પ્રકાર સમજવા જેવો છે.
૧. સાધારણ જીવનવાળા, ૨. મધ્યમ જીવનવાળા, ૩. ઉત્તમ જીવનવાળા અને ૪. ઉત્તમોત્તમ જીવનવાળા.
(૧) જેઓના જીવનમાં મોટો ભાગ કરુણ, ભયાનક, બીભત્સ અને રૌદ્રરસ અનુભવતો હોય એવા જીવનવાળાનું જીવન સાધારણ છે.
(૨) શૃંગાર, હાસ્ય ને વીર એ રસો જીવનનો મોટો ભાગ આવરી લેતા હોય એ જીવન મધ્યમ છે.
(૩) શૃંગાર, વીર, અદ્ભુત અને શાંત એ રસો જે જીવનમાં પ્રધાન ભાગ ભજવતા હોય તે જીવન ઉત્તમ છે. (૪) વીર, અદ્ભુત અને શાંત એ રસો જેમાં પ્રધાન છે તે જીવન ઉત્તમોત્તમ
- પ. પૂ. પં. શ્રીધુરંધરવિજયજી ગણિવર.
૧૬૮૦ ધર્મ અનપેક્ષા