Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ રમી રહ્યો છે તથા એ વ્યવહાર તમે કબુલ્યો છે તેથી બીજાને ઘેર આપવાનું નક્કી થાય (સંબંધ થાય) એટલે ગોળધાણા વહેંચો છો. ગોળધાણા શાના ? આપણું ફરજ્ઞ પારકે ઘેર આપી દેવાનું જિંદગીભરને માટે નક્કી થયું એના ગોળધાણા વહેંચો છો ને? પછી જ્યાં લગ્નનો વખત આવ્યો ત્યાં પોતાના મોભા પ્રમાણે પાંચ, દસ હજાર રૂપિયા ખરચી ઢોલ વગાડી વાજતે ગાજતે દીકરીને સોંપી દીધી. કન્યાનો વરઘોડો કાઢીને કર્યું શું? બીજાને સોંપી આવ્યા, એ જ ને? દુનિયાદારીનો વ્યવહાર કેટલો સાચો લાગ્યો છે ? પરણ્યા પછી ભાષામાં પણ ભેદ થયો. બાપને ત્યાં આવવું હોય ત્યારે મારે પિયર જાઉં છું એમ કહે, જ્યારે સાસરે જતી વખતે મારે ઘેર જાઉં છું એમ કહે છે. એ તો કહે છે પણ બાપ તથા ભાઈભાંડુ પણ “જા, તારે ઘેર' એમ કહે છે. ભાષામાં આ ભેદ ક્યાંથી આવ્યો ? છોકરીના ઘેર ચાહે તેવી દરિદ્રાવસ્થા હોય પણ બાપના ઘરમાં એનો હક લાગતો નથી. શરમથી, રાગથી અપાય તે વાત જુદી છે પણ લાગો કરીને એ એક્ટ કોડી પણ લઈ શકતી નથી. એનો હક પણ કાઢી નાખ્યોને ? આ બધું શાથી ? કેવળ વ્યવહાર, એમ કહ્યા વિના બીજો એક પણ બચાવ નથી. જ્યારે લોક-વ્યવહાર ખાતર આટલો ભોગ અપાય છે તો જેઓ જગતને ફાની (અસાર) ગણતા હોય, ધર્મને સારભૂત તથા શાશ્વત ગણતા હોય તેવાઓ ધર્મ ખાતર ભોગ દે તેમાં નવાઈ શી ? સંસારને બંધન માનનારા, સંસારનો ત્યાગ કરનાર માટે મહોત્સવ કરે એમાં નવાઈ શી?
રાણીઓ માટે લડાઈ કરનારા, હજારો જાતના પ્રપંચો કરનારા, કુટુંબના ક્લેશની દરકાર નહિ રાખનારા એવા કૃષ્ણજીની રાણીને પણ જો દીક્ષાનો વિચાર થાય તો એ જ કૃષ્ણજી ઢોલ, ત્રાસ વગડાવી ધામધુમથી દીક્ષા દેવરાવતા હતા. એ કેમ બન્યું હશે? નોકરશી જેવું પણ વ્રત નહિ કરી શકનારા શ્રેણિક રાજા, પોતાના પુત્રની દીક્ષામાં ઢોલ શી રીતે વગડાવી શક્યા હશે? તમારી કન્યાને પરણાવતી વખતે જેમ તેમ લોકવ્યવહારના અંગે ઢોલ, ત્રાસ વગડાવો છો તેવી રીતે તે મહાપુરુષોએ મોક્ષનું સ્વરૂપ તથા માર્ગ જાણેલ હોવાથી તેઓ રાણીઓ તથા પુત્રાદિ પરિવારની દીક્ષા અંગે ઢોલ, ત્રાસાં વગડાવવા, ધામધુમ કરવા તૈયાર થતા હતા. દુનિયાદારીથી તમે છોકરીનું હિત શામાં માન્યું? બીજે ઘેર મોકલી દેવામાંને? પોતાને ઘેર છોકરીને નહિ રાખવામાં ખાનદાની માનીને ? તો પછી જેઓ સંસારને બંધનરૂપ સમજેલા છે તેઓ સંસારનો ત્યાગ કરે એને માટે ઢોલ, ત્રાસ વગડાવવા પૂર્વક મહોત્સવ કરે એમાં નવાઈ શી? બળાત્કાર ક્યાં છે અને ક્યાં નથી?
કન્યાને અંગે હજી આગળ વધો. પરણ્યા પછી જો છોકરી ગમે તે કારણે પોતાને ઘેર જવા ન ઈચ્છે તો પણ પરાણે મોકલો છો. છોકરી અહીં ન પાલવે એ મુદો નક્કી કરેલો છે. બે ચાર દિવસ આવે એ વાત જુદી છે. તમારે ત્યાં જન્મેલી, તમે છોકરીને મોટી કરેલી, કાયમ તમારા સહવાસમાં