Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
આધ્યાત્મિક ગ્રંથના વિવેચનમાં સરળ અંગ્રેજી ભાષાની અપેક્ષા પ્રાયઃ રાખી શકાય નહીં, પરંતુ અપવાદરૂપે પ્રસ્તુત વિવેચનની ભાષા અંગ્રેજીના અલ્પાભ્યાસીથી પણ ગ્રહણ થઈ શકે એવી સરળ છે. રજૂઆત રસપ્રદ રીતે જકડી રાખનાર અને આશ્ચર્યજનક રીતે સુવ્યવસ્થિત બની છે. પદ્ધતિસરનું આયોજન સર્વ ગાથાઓના વિષયને પૂરતો ન્યાય આપે છે. અલ્પસંખ્ય ક્ષતિઓને બાદ કરતાં તેમાં અર્થની છણાવટ એકંદરે સુંદર રહી છે. ગાથાઓમાં ચર્ચેલા વિષયનો પણ યથાવકાશ વિસ્તાર કરવામાં આવ્યો છે. ષટ્કદના અર્થવિસ્તારમાં શંકા-સમાધાનનું વિશ્લેષણ સરળ અને સ્પષ્ટ થયું છે. શંકાની રજૂઆત સાથે તે કયા દર્શનના પ્રભાવ હેઠળ થઈ છે એની સમજૂતી પણ આપવામાં આવી છે.
૪૮
માત્ર અંગ્રેજી ભાષાના જાણકારને શ્રીમદ્નો આધ્યાત્મિક સંદેશ રોચક રીતે અને સુયોગ્યપણે પહોંચાડવાનો આ પ્રયાસ અવશ્ય ઉલ્લેખનીય છે તથા પ્રશંસાનો અધિકારી પણ ઠરે છે.
(૬) ‘હું આત્મા છું' ડૉ. તરુલતાબાઈ મહાસતીજી
સાધ્વીશ્રી ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ મદ્રાસમાં વિ.સં. ૨૦૪૨(ઈ.સ. ૧૯૮૬)ના ચાતુર્માસ દરમ્યાન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર આપેલ પ્રવચનોની સંકલનારૂપે આ પુસ્તક ઈ.સ. ૧૯૮૭માં પ્રકાશિત થયું છે. ગુજરાતી ભાષામાં આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે તથા હિંદી તેમજ અંગ્રેજી ભાષામાં પણ આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. ચાતુર્માસ દરમ્યાન આશરે ૧૦૭ દિવસ પર્યંત ચાલેલ વ્યાખ્યાનમાળાના આ સંકલનમાં આશરે એક હજાર પાનાંનું વિવેચન છે. મૂળ શાસ્ત્રના વિષય અનુસાર ત્રણ પુસ્તકોમાં આ વિવેચનનું વિભાજન કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથા ૧ થી ૪૨ ઉપરનાં વ્યાખ્યાનો લેવામાં આવ્યાં છે, દ્વિતીય ભાગમાં ગાથા ૪૩ થી ૧૧૮ પર્યંતનું વિવેચન છે, જ્યારે તૃતીય ભાગમાં અંતિમ ૨૪ ગાથાઓ ઉપરનાં પ્રવચન ઉપરાંત મહાસતીજીનાં પર્યુષણપ્રવચનની તથા સાંવત્સરિક આલોચનાની નોંધોનો સમાવેશ થયો છે.
ડૉ. તરુલતાબાઈ મહાસતીજીને શ્રીમદ્ પ્રત્યે, શ્રીમદ્ા અધ્યાત્મસાહિત્ય પ્રત્યે પ્રથમથી ઊંડો રસ અને આદર હતા. ‘હું કોણ?’ એ સનાતન પ્રશ્નના સમાધાનની ખોજરૂપે તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નાં અગાધ રહસ્યોને ઉકેલવા ઊંડું મંથન કર્યું હતું. તેઓ કહે છે કે
-
‘(શ્રીમદે) આ ધરા પર જન્મ ધારણ કરી જનમાનસ પર અનહદ ઉપકાર કર્યો. પોતે આત્મકાર્ય સાધી ગયા અને અન્ય માટે રાહ પ્રશસ્ત કરી ગયા, તેઓએ મહદ્ ઉપકાર તો એ કર્યો કે જિનેશ્વરનાં પ્રરૂપેલ તત્ત્વોને ભાષાકીય દૃષ્ટિએ સરલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org