Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૬
૩૩૫
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે :એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.
ગુરુને આધીન થઈ વર્તતા
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
आणा धम्मो आणाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ (આચારાંગ સૂત્ર)’૧
સમસ્ત દ્વાદશાંગી આજ્ઞાધર્મના વિવરણરૂપ છે, તેથી જીવે સદ્ગુરુની આજ્ઞાનું આરાધન અખંડપણે અને એકનિષ્ઠાથી કરવું એ જ કર્તવ્ય છે. અધ્યાત્મયાત્રામાં જીવને સૌ પ્રથમ એ નિશ્ચય થવો ઘટે કે આત્મકલ્યાણ માટે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગ જેવું કોઈ બળવાન અને અમોઘ કારણ નથી. તેથી અન્ય સર્વ સાધનને ગૌણ જાણી, કલ્યાણના મુખ્ય હેતુ એવા પ્રત્યક્ષ સદ્ગુરુના સત્સમાગમને સર્વાર્પણપણે ઉપાસવો ઘટે છે.
સ્વચ્છંદનો પરિત્યાગ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી થાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ આત્માર્થી જીવ માટે અમૂલ્ય અને અતિ ઉપકારી પ્રસંગ છે. સદ્ગુરુ નિષ્કારણ કરુણાથી જીવના અંતરંગ દોષો જણાવે છે, તે દોષોથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે અને એ ઉપાયને અમલમાં મૂકવાનું બળ પણ આપે છે; તેથી પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ આત્મવિકાસનું અનિવાર્ય અંગ છે. તેમના આશ્રયથી જીવ આત્મશુદ્ધિની અનેક શ્રેણીઓ પ્રાપ્ત કરીને સર્વોત્તમ ભૂમિકાને સ્પર્શે છે.
તપ.
અહીં એ ધ્યાન રાખવું ઘટે કે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી સ્વચ્છંદ રોકાય છે એમ કહ્યું ત્યાં એમ ન સમજવું કે માત્ર સદ્ગુરુના સંગમાં રહેવાથી સ્વચ્છંદ નિવૃત્ત થઈ જાય છે. સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો છે એમ ત્યારે જ કહી શકાય કે જ્યારે સદ્ગુરુની ઓળખાણ થઈ હોય અને તેમની આજ્ઞાભક્તિમાં જોડાયો હોય. તેમની આગળ-પાછળ ફર્યા કરે, પરંતુ જો અંતરમાં તેમનો સાચો મહિમા પ્રગટાવે નહીં તો કંઈ જ ફ્ળ ન મળે. સદ્ગુરુનો સંગ મળવાથી કાર્ય થઈ જતું નથી. જો આજ્ઞાશ્રિતપણું ન હોય તો યોગ અયોગરૂપ થઈ પડે છે. સદ્ગુરુ પ્રત્યે ભક્તિ ન હોય તો તેમના સંગમાં રહેવા છતાં, અનેક ધર્મક્રિયાઓ કરવા છતાં પણ તે સર્વ નિષ્ફળ જાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે જેમ પ્રધાન(રાજા)થી વિહીન રાજ્ય, સ્વામીથી વિહીન દેશ, ગામ, રાષ્ટ્ર અને સેના; તેમ ગુરુભક્તિથી વિહીન શિષ્યોનાં સમસ્ત અનુષ્ઠાન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૫૯-૨૬૦ (પત્રાંક-૧૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org